ગુજરાતને બાળ મજૂરીથી મુક્ત કરવા સ્ટેટ એક્શન પ્લાન ફોર ચાઇલ્ડ એન્ડ એડોલ્સન્ટ લેબરનું અનાવરણ
અમદાવાદ, 14 જૂન (હિ.સ.) : ગુજરાતને બાળ અને તરૂણ મજૂરીથી સંપૂર્ણપણે મુક્ત કરવાના ઉમદા લક્ષ્ય સાથે, અમદાવાદમાં આયોજિત સમારોહમાં સ્ટેટ એક્શન પ્લાન ફોર ચાઇલ્ડ એન્ડ એડોલ્સન્ટ લેબર ઇન ગુજરાત નું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઇફેક્ટિવ પ્રોહીબિશન, રેગ્યુલેશન
અમદાવાદમાં કાર્યક્રમ યોજાયો


અમદાવાદમાં કાર્યક્રમ યોજાયો


અમદાવાદ, 14 જૂન (હિ.સ.) : ગુજરાતને બાળ અને તરૂણ મજૂરીથી સંપૂર્ણપણે મુક્ત કરવાના ઉમદા લક્ષ્ય સાથે, અમદાવાદમાં આયોજિત સમારોહમાં સ્ટેટ એક્શન પ્લાન ફોર ચાઇલ્ડ એન્ડ એડોલ્સન્ટ લેબર ઇન ગુજરાત નું અનાવરણ કરવામાં આવ્યું હતું.

ઇફેક્ટિવ પ્રોહીબિશન, રેગ્યુલેશન એન્ડ રિહેબીલીટેશનની વ્યૂહરચના સાથે બનેલા આ નવીન એક્શન પ્લાનની પુસ્તિકાનું વિમોચન શ્રમ અને રોજગાર વિભાગના ડાયરેક્ટર IAS કે. ડી. લાખાણી, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (GSCPCR)ના ચેરપર્સન ધર્મિષ્ઠા ગજ્જર, યુનિસેફના ચાઇલ્ડ પ્રોટેક્શન સ્પેશિયાલિસ્ટ અદ્વેતા મરાઠે સહિતના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ નવા સ્ટેટ એક્શન પ્લાનની આવશ્યકતા જૂના પ્લાન તેમજ (2009), બાળ અને તરૂણ શ્રમયોગી (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ-1986માં થયેલા સુધારાને કારણે ઊભી થઈ હતી.

યુનિસેફના સહયોગથી તૈયાર કરાયેલા આ પ્લાનમાં બાળ મજૂરી રોકવા માટે પ્રમોટિવ, પ્રિવેન્ટિવ અને રિસ્પોન્સ વર્ક પર આધારિત આઠ જેટલા સ્ટ્રેટેજીક ફોકસ પ્લાન બનાવવામાં આવ્યા છે, જેમાં વિવિધ વિભાગોના સંકલનથી ચોક્કસ કાર્યવાહી, જવાબદારી-ભૂમિકા અને તે માટેની સમય અવધિ પણ નિર્ધારિત કરવામાં આવી છે.

સ્ટેટ એક્શન પ્લાનના લોન્ચિંગ પ્રસંગે શ્રમ નિયામક કે. ડી. લાખાણીએ જણાવ્યું હતું કે, આપણે ક્યારેય કોઈ બાળકને મજૂરી કરતો જોવા ઇચ્છતા નથી. બાળ મજૂરીના દૂષણને અટકાવવા માટે કાયદાઓના અમલીકરણ સહિત સ્ટેટ એક્શન પ્લાનની જોગવાઈઓ અને સંબંધિત વિભાગોના સહકાર અંગે હકારાત્મક ચિંતન-મનન કરવાનો આજના કાર્યક્રમનો ઉદ્દેશ છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બાળ મજૂરી અટકાવવી એ સમાજની નૈતિક અને સહિયારી જવાબદારી છે. સરકાર અને સમાજ સાથે મળીને આવા દૂષણોને અટકાવી શકે છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ પોલિયો નાબૂદી છે. આપણો હેતુ ત્યારે જ સિદ્ધ થશે જ્યારે એકપણ મજૂરી કરતું બાળક જોવા નહીં મળે.

તેમણે શ્રમ અને રોજગાર સહિત બાળ મજૂરી નાબૂદીની કામગીરી સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમની ફરજો અને જવાબદારીઓને સમજીને નૈતિકતાપૂર્વક કામગીરી કરવા તથા આ અંગે લોકજાગૃતિ ફેલાવવા માર્મિક દ્રષ્ટાંતો આપી અનુરોધ કર્યો હતો.

યુનિસેફના ચાઇલ્ડ પ્રોટેક્શન સ્પેશિયાલિસ્ટ અદ્વૈતા મરાઠેએ જણાવ્યું કે, આ આધુનિક સ્ટેટ એક્શન પ્લાનનું અનાવરણ ગુજરાત સરકારની દરેક બાળકને ઉત્પીડન અને બાળમજૂરીમાંથી મુક્ત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનના 2021ના રિપોર્ટ અનુસાર, કોરોના પછી વિશ્વભરમાં 90 લાખ બાળકો મજૂરીમાં ધકેલાયા હતા, જેમાં 50% જેટલા બાળકો પાંચથી અગિયાર વર્ષના હતા. ગુજરાત જેવા રાજ્યોમાં બાળમજૂરી અટકાવવા ઉત્કૃષ્ટ કાર્ય થયું છે, પરંતુ માઇગ્રન્ટ વર્કર્સના બાળકો મજૂરીકામમાં સપડાય તેની શક્યતા વધુ હોય છે. ગુજરાતને ચાઇલ્ડ પ્રોટેક્શનનું મોડેલ સ્ટેટ બનાવવા માટે યુનિસેફ ગુજરાત સરકારની પડખે છે અને આ માટે સૌના સામૂહિક પ્રયત્નોની જરૂર છે.

ગુજરાત રાજ્ય બાળ આયોગના ચેરપર્સન સુશ્રી ધર્મિષ્ઠા ગજ્જરે જણાવ્યું કે, ગરીબી, અજ્ઞાનતા અને લાચારી બાળમજૂરીના પાયામાં રહેલી છે. શિક્ષણ અને સ્વાસ્થ્ય બાળકનો મૂળભૂત અધિકાર છે, અને મજૂરી આ હકો છીનવી લે છે. વર્ગખંડ અને મેદાનને બદલે ખેતર અને ફેક્ટરીમાં કામ કરતા બાળકો એ સામાજિક અધોગતિની નિશાની છે. બાળમજૂરી નાબૂદ કરવા માટે શિક્ષણનો અવિરત પ્રવાહ અને કાયદાનું કડક પાલન અનિવાર્ય છે. તેમણે ખાતરી આપતા કહ્યું કે, રાજ્ય બાળ આયોગ બાળમજૂરીના કિસ્સા ધ્યાનમાં આવે ત્યારે સૂઓ મોટો કાર્યવાહી કરે છે, ગુનાઓ નોંધવા નિર્દેશો આપે છે અને કસૂરવાર સામે કડક કાર્યવાહી થાય તે સુનિશ્ચિત કરે છે.

આ કાર્યક્રમમાં એડિશનલ લેબર કમિશનર શ્રુતિ મોદી, ડૉ. વાય. એમ. શેખ, ડેપ્યુટી લેબર કમિશનર અલ્પેશ પટેલ, હેમાબેન મૂલીયાણા, GSCPCRના સેક્રેટરી ડી. ડી. કાપડિયા સહિત શ્રમ અને રોજગાર વિભાગ, શિક્ષણ, આરોગ્ય, પંચાયત અને માહિતી વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ જિલ્લાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સ્ટેટ એક્શન પ્લાન દ્વારા તમામ વિભાગોના સંકલિત પ્રયાસોથી ગુજરાતમાં બાળમજૂરી નાબૂદીના સ્વપ્નને સાકાર કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande