ભાવનગર 15 જૂન (હિ.સ.) ભાવનગર રેલવે મંડળ દ્વારા સિંહો/વન્યપ્રાણીઓના સુરક્ષા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંડળની સૂચના મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલટ્સ નિર્ધારિત ગતિનું પાલન અને ખાસ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાઇલટ્સની સતર્કતા અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી, ગયા નાણાકીય વર્ષ 2024-25માં કુલ 159 સિંહોને બચાવી લેવામાં આવ્યા છે. આ નાણાકીય વર્ષ 2025-26 માં અત્યાર સુધીમાં કુલ 9 સિંહોને બચાવી લેવામાં આવ્યા છે.
ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપી હતી કે, ૧૫.૬.૨૦૨૫ (રવિવાર) ના રોજ, લોકો પાઇલટ સંતોષ કુમાર (મુખ્ય મથક-જૂનાગઢ) અને સહાયક લોકો પાઇલટ શિવારામ (મુખ્ય મથક-જૂનાગઢ) દ્વારા સાસણ ગીર-કાંસિયાનેશ સેક્શનમાં કિમી સં. 115/02 - 115/01 વચ્ચે રેલવે ટ્રેક ઓળંગતી સિંહણને જોતાં, ટ્રેન નંબર 52955 વેરાવળ - જૂનાગઢ પેસેન્જર ટ્રેનને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને રોકવામાં આવી. લોકો પાઇલટે ટ્રેન મેનેજર (ગાર્ડ) ને જાણ કરી હતી. ફોરેસ્ટ ટ્રેકર રાણાભાઈ ગઢવીએ સિંહણને, રેલવે ટ્રેક પરથી દૂર કરી હતી અને બધી સ્થિતિ સામાન્ય જણાતાં, લોકો પાઇલટને રવાના થવા કહ્યું હતું. ત્યારબાદ, લોકો પાઇલટે કાળજીપૂર્વક ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ લઈ ગયા હતા.
માહિતી મળતાં, ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓએ લોકો પાઇલટ્સના પ્રશંસનીય કાર્ય બદલ પ્રશંસા કરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ