પોરબંદર, 15 જૂન (હિ.સ.) : આજના સમયમાં બદલાતી જીવનશૈલી, આંતરિક તાણ, અનિયમિત આહાર અને વ્યાયામના અભાવના કારણે લોકોમાં મેદસ્વિતા (ઓબેસિટી) એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા તરીકે ઊભરી રહી છે. આ સંજોગોમાં સરકાર દ્વારા મેદસ્વિતા સામે જાગૃતતા અને નિવારણ માટે “મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.આ અભિયાનને વધુ મજબૂતી મળે એ હેતુથી પોરબંદર શહેરના ધારાબેન જુંગીએ પતંજલી વિશ્વ વિદ્યાલય, હરિદ્વારથી યોગવિદ્યામાં અનુસ્નાતકની પદવી મેળવ્યા બાદ પોરબંદરમાં લોકસેવાના ભાવથી યોગસેવા શરૂ કરી છે. તેઓ માત્ર યોગાસનો જ નહીં પરંતુ મેદસ્વિતા નિયંત્રણ માટે આયુર્વેદ, નેચરોપેથી અને પંચકર્મ પદ્ધતિઓ અંગે માર્ગદર્શન પણ આપે છે.ધારાબેન જણાવે છે કે, યોગ એક એવી સંપૂર્ણ પદ્ધતિ છે જેના માધ્યમથી માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય બંનેમાં સુધારો લાવી શકાય છે. યોગાસન, પ્રાણાયામ, વ્યાયામ, સૂર્ય નમસ્કાર વગેરે દ્વારા લોકો પોતાનું વજન નિયંત્રિત કરી શકે છે તેમજ વિવિધ બીમારીઓથી પણ બચી શકે છે.
આ જનરેશનમાં એક્સરસાઇઝની અછત, અયોગ્ય આહાર સહિતના કારણોથી ઓબેસિટીનુ પ્રમાણ ખુબ જ વધી રહ્યુ છે. તેને નિયંત્રીત કરવા માટે ઉપવાસની પદ્ધતિ કે જેને પંચમહાભૂત તત્વોમાંથી “આકાશ” તત્વ તરીકે ઓળખવામાં આવે છે, તે શરીરમાં રહેલા વિકારોને દૂર કરવા અને ચરબી ઘટાડવા માટે અસરકારક પદ્ધતિ છે. નેચરોપેથી પદ્ધતિઓ જેમ કે સન બાથ, નેચરલ ડાયટ, મસાજ વગેરે દ્વારા પણ શરીરમાંથી વિકૃતિઓ દૂર કરી શકાય છે. અંતે તેઓ કહે છે કે જો આ બધા ઉપાયોને આપણે એક સાથે લઈ આવીએ, યોગ, આયુર્વેદ, પંચમહાભૂત તેમજ ચિકિત્સાના માધ્યમથી ખૂબ જ સરસ પરિણામ મેળવીને આપણે મેદસ્વિતા મુક્ત ગુજરાત બનાવી શકીશુ.ઉલ્લેખનીય છે કે ધારાબેન જુંગીના સેવાકીય કાર્યનો સ્વાસ્થ્યલાભ પોરબંદરના નાગરિકો લઈ રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “મેદસ્વિતા મુક્તિ” અંગેના દ્રષ્ટિકોણથી પ્રેરિત થઈ સમાજમાં આરોગ્ય અંગે જાગૃતિ વધારવા માટે ધારાબેનનું કાર્ય સરાહનીય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya