ગાંધીનગર, 15 જૂન (હિ.સ.) : અમદાવાદમાં ગુરુવારે વિમાન દુર્ઘટના બની હતી. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા. આ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ થઇ ગઈ છે. આજે તેમનું ડી.એન.એ મેચ થયું. પરિવારજનોએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીને આવતીકાલે, સોમવારે રાજકોટમાં અંતિમ વિદાય અપાશે.
ગતકાલે તેમના પુત્ર ઋષભ રૂપાણી એ, હોસ્પિટલમાં આવીને ડીએનએ સેમ્પલ આપ્યું હતું. રૂપાણી પરિવારના સભ્યો આજે ગાંધીનગર જ રોકાશે.
19 જુને ગાંધીનગરમાં હેલીપેડ ખાતે પ્રાર્થના સભા યોજાશે ત્યારે, 20 જૂને કમલમ કોબા ગાંધીનગર ખાતે પ્રાર્થના સભા સાંજે ચાર થી છ યોજાશે.
12 જૂને થયેલી આ વિમાન દુર્ઘટનામાં મોતનો આંકડો હવે 275 સુધી પહોંચ્યો છે. આજે સવારે સુધીમાં 248 મૃતદેહોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 31 બોડીની ઓળખ થઇ છે અને 20 મૃતદેહો પરિવારજનોને સોપાયા છે. તેમનાં મૃત્યુ પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા છે.
એમ્બ્યુલન્સ મારફતે સુરક્ષાની સાથે મૃતદેહને તેમના વતન મોકલવામાં આવી રહ્યા છે. આ માટે કુલ 230 ટીમો બનાવવામાં આવી છે, જે સીધા મૃતકોના પરિવારજનોના સંપર્કમાં છે. 192 એમ્બ્યુલન્સ અને વાહનો સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા વિદેશી નાગરિકોમાંથી 11ના પરિવારજનો આજે, અમદાવાદ પહોંચે તેવી શક્યતા છે.
વિમાન કંપની બોઇંગની એક ટીમ રવિવારે દુર્ઘટના સ્થળે પહોંચી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ