ગીર સોમનાથ 15 જૂન (હિ.સ.) સામાન્ય રીતે જિલ્લાના નાગરિકો પોતાને સીધી રીતે સ્પર્શતા પ્રશ્નો અને સમસ્યાઓની રજૂઆત કરવા માટે જિલ્લા કલેકટરને મળવા માટે આવતાં હોય છે.
જિલ્લાના નાગરિકો પોતાની ફરિયાદ અને પ્રશ્નોની રજૂઆત માટે જ્યારે રૂબરૂ કલેક્ટરની કચેરી ખાતે આવતા હોય ત્યારે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તેમજ પડતર પ્રશ્નો માટે મીટીંગ, ફેરણી, તપાસણી, વિવિધ કેસોની સુનાવણી, સરકારી કાર્યક્રમોમાં હાજરી તથા વીડિયો કોન્ફરન્સમાં કલેકટરની ઉપસ્થિતિના કારણે ઘણીવાર નાગરિકોને જિલ્લા કલેકટરને મળવામાં રાહ જોવી પડતી હોય છે.
આ સમગ્ર બાબત ધ્યાને લેતા પ્રજાને હાલાકી ન પડે અને પોતાની રજૂઆત સરળતાથી કરી શકે તે માટે જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાના નાગરિકોને મળવા માટે સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
જિલ્લાના નાગરિકો/ જાહેર જનતા કલેકટરને મળી શકે તે માટે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર, ક્રમાંક: વહસ-૧૦૨૦૧૮-૩૮૬(૨)-વસુતાપ્ર-૨ તા:-૩૦/૧૦/૨૦૨૧ થી વાર નક્કી કરવામાં આવેલ છે.
જે અંતર્ગત જિલ્લાના નાગરિકો, દર સોમવાર તથા મંગળવારે સવારે ૧૦:૩૦ કલાકથી ૧૩:૦૦ કલાક સુધી જિલ્લા કલેકટરશ્રીને પોતાની રજૂઆત રૂબરૂ મળીને કરી શકશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ