પ્રશાસનની ઝડપી કામગીરી અને સંકલનને કારણે, બચાવ-રાહતની મોટાભાગની કામગીરી માત્ર ચાર કલાકમાં પૂર્ણ: અમદાવાદ મ્યુનિ. કમિશનર
અમદાવાદ, 15 જૂન (હિ.સ.) : અમદાવાદ પ્લેનક્રેશની કમનસીબ અને અત્યંત આઘાતજનક ઘટના બાદ પ્રશાસન દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે પ્રશાસનની ઝડપી કામગીરી અને સંકલનને કારણે બચાવ-રાહત
મ્યુનિસિપલ કમિશનર


અમદાવાદ, 15 જૂન (હિ.સ.) : અમદાવાદ પ્લેનક્રેશની કમનસીબ અને અત્યંત આઘાતજનક ઘટના બાદ પ્રશાસન દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે પ્રશાસનની ઝડપી કામગીરી અને સંકલનને કારણે બચાવ-રાહતની મોટાભાગની કામગીરી માત્ર ચાર કલાકમાં પૂર્ણ કરી દેવામાં આવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્લેન ક્રેશની જાણ થતાં તાત્કાલિક ધોરણે હું સાઈટ પર જવા રવાના થયો હતો. સીએમઓ અને ત્યાર બાદ મુખ્યમંત્રી તરફથી મને કૉલ આવ્યો અને તાત્કાલિક કાર્યવાહી માટે સૂચના મળી હતી. ઘટનાસ્થળે પહોંચતી વખતે રસ્તામાંથી જ તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા વહીવટી તંત્ર તથા ફાયર, પોલીસ, આરોગ્ય સહિતના વિભાગો સાથે સંકલન કરી દેવામાં આવ્યું હતું, એવું તેમણે ઉમેર્યું હતું.

અમદાવાદ મ્યુનિ. કમિશનરએ વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાસ્થળે એરપોર્ટની ફાયર ટીમ તુરંત પહોંચી હતી અને થોડા સમયમાં જ 100થી વધારે ફાયર ફાઈટર્સ અને ટીમોએ ઘટનાસ્થળ પર પહોંચીને અગ્નિશમનની કામગીરી શરૂ કરી હતી. પોલીસ, એએમસી, જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય, એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને એકબીજાના સંકલનમાં રહીને બચાવ-રાહતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા માટેના પ્રયાસોની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, શહેર પોલીસ કમિશનર સાથે સંકલનમાં રહીને સિવિલ હોસ્પિટલ સુધીનો ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો, જેથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચાડી શકાય તેમજ રાહત - બચાવની કામગીરી કોઈ અડચણ વિના ઝડપથી થઈ શકે. સરકારી ઉપરાંત ખાનગી સંસ્થાઓની એમ કુલ 98 જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે હતી. પ્લેનક્રેશ સાઇટ આસપાસની ઈમારતોમાંથી 30થી વધુ લોકોને ફાયરફાઇટર ટીમ દ્વારા બચાવવામાં આવ્યા હતા, એવું તેમણે ઉમેર્યું હતું.

બચાવ કામગીરી વિશે મ્યુનિ. કમિશનરએ વધુમાં જણાવ્યું હતું કે, અર્થ મૂવર્સ, બુલડોઝર, જેસીબી, હિટાચી જેવાં 45થી વધુ સાધનો સ્થળ પર તૈનાત કરાયાં હતાં. રસ્તા પર પડેલી એરક્રાફ્ટની પાંખ હટાવવામાં આવી તેમજ એમ્બ્યુલન્સ સહિતનાં વાહનોને નડતી દીવાલો તોડવામાં આવી હતી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં સંકલન સૌથી મહત્ત્વપૂર્ણ બાબત હોય છે, એ અંગે મ્યુનિ. કમિશનરએ જણાવ્યું હતું કે ખૂબ જ કપરી સ્થિતિમાં તંત્ર દ્વારા અત્યંત ઝડપી કામગીરી કરવામાં આવી હતી. સીએમઓના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કમિશનર, કલેકટર તથા તમામ સરકારી વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ધોરણે સ્થળ પર હાજર હતા અને સંકલનપૂર્વક ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પ્લેનક્રેશના હતભાગી પરિવારો માટે તંત્ર દ્વારા લેવાયેલાં પગલાંની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, પ્લેનક્રેશમાં સ્વજન ગુમાવનારા લોકોને મુશ્કેલી ન પડે એ માટે સિવિલ હોસ્પિટલમાં જ સિંગલ વિન્ડો સિસ્ટમ ઊભી કરવામાં આવી છે, જેના દ્વારા પરિવારજનોને મરણના દાખલા સહિતના જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ થાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે‌.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande