પાટણ, 19 જૂન (હિ.સ.) : પાટણ શહેરના રાજમહેલ રોડ પર નવનિર્મિત રેલવે ઓવરબ્રીજ (આરઓબી) હવે પૂર્ણતાની નજીક છે. વાહનચાલકોએ તેનો ઉપયોગ શરૂ કરી દીધો છે. હવે માત્ર વિધિવત ઉદ્ઘાટન અને નગરપાલિકાને હસ્તાંતરણની પ્રક્રિયા બાકી રહી છે.
બ્રીજને રાત્રે પ્રકાશિત કરવા માટે રેલિંગની બંને બાજુ તેમજ ત્રણેય એપ્રોચ રોડ પર સ્ટ્રીટલાઈટ્સ લગાવવામાં આવી છે. સ્ટ્રીટલાઈટો માટે બ્રીજની નીચે ઈલેક્ટ્રિક ડી.પી.નું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે અને તમામ વીજપોલને વીજવાયરો સાથે જોડવામાં આવ્યા છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (જીયુડીસી)એ 16 કિલોવોટના વીજ જોડાણની માંગણી કરી છે અને પાટણ નગરપાલિકાને પત્ર લખી સ્ટ્રીટલાઈટો ચાલુ કરવા જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે. હાલમાં આશરે 100 વીજપોલ તૈયાર છે, હવે માત્ર વીજ કંપની તરફથી મીટર અને વીજ પુરવઠાની રાહ જોવાઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર