પાટણ, 2 જૂન (હિ.સ.)પાટણ જિલ્લા પેરોલ ફર્લો સ્કવોડે મહારાષ્ટ્રના માલેગાવથી એક ફરાર કેદી મહંમદખાન બીજલખાન બલોચને ઝડપી લીધો છે. આ કેદી કલોલ પોલીસ સ્ટેશનના FIR નંબર 55/2011 હેઠળ IPC કલમ 302 મુજબ હત્યાના ગુનામાં દોષિત થઈ આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો.
તેણે 2 જૂન 2022ના રોજ પેરોલ પરથી મુક્તિ મેળવી હતી અને 18 જૂન 2022ના રોજ જેલમાં પરત ફરવાનું હતું. પરંતુ તે નિર્ધારિત તારીખે હાજર ન થયો અને છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતો. પેરોલ સ્કવોડે ટેકનિકલ એનાલિસિસ અને માનવ સૂત્રોના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસમાં આરોપી માલેગાવના આયેશાનગર વિસ્તારમાં છુપાયો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે ત્યાં વોચ ગોઠવી અને તેની અટકાયત કરી. તેને ભારતીય નાગરિક ન્યાય સંહિતાની કલમ 35(1)(j) હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને બાકી રહી ગયેલી સજા ભોગવવા માટે અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર