ગીર સોમનાથ 23 જૂન (હિ.સ.) રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ના ચૂંટણી કાર્યક્રમ અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું છે. વાદળછાયાં વાતાવરણ વચ્ચે પણ કુલ ૬૩ ગ્રામ પંચાયતોમાં મતદારોએ મતદાન માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.
ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં વેરાવળ તાલુકામાં ૧ ગ્રામ પંચાયતમાં ૮૪.૪૩%, સુત્રાપાડામાં ૧ ગ્રામ પંચાયતમાં ૪૮.૦૪%, કોડીનારમાં ૬ ગ્રામ પંચાયતમાં ૬૬.૪૪%, ઉનામાં ૪ ગ્રામ પંચાયતમાં ૫૯.૩૮%, ગીરગઢડામાં ૪ ગ્રામ પંચાયતમાં ૬૩.૬૫% એમ કુલ ૧૬ ગ્રામ પંચાયતોમાં ૬૪.૯૬% મતદાન નોંધાયું હતું.
જ્યારે ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/વિભાજન ચૂંટણીમાં વેરાવળ તાલુકામાં ૭ ગ્રામ પંચાયતમાં ૮૩.૮૧%, તાલાલામાં ૧૦ ગ્રામ પંચાયતમાં ૭૨.૭૧%, સુત્રાપાડામાં ૫ ગ્રામ પંચાયતમાં ૮૩.૩૬%, કોડીનારમાં ૧૮ ગ્રામ પંચાયતમાં ૮૧.૦૪%, ઉનામાં ૨ ગ્રામ પંચાયતમાં ૬૯.૯૨%, ગીરગઢડામાં ૫ ગ્રામ પંચાયતમાં ૬૬.૨૬% એમ કુલ ૪૭ ગ્રામ પંચાયતોમાં ૭૬.૮૦% મતદાન નોંધાયું હતું.
ગ્રામ પંચાયતોની ચૂંટણી અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના વડપણમાં અને નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના માર્ગદર્શનમાં, ચૂંટણી સ્ટાફે પણ ઉત્તમ કામગીરી દાખવી હતી. જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શનમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની સાથે-સાથે જ પોલીસતંત્ર અને વહીવટી તંત્રએ મતદારોને મતદાન માટે અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ