અમદાવાદ, 23 જૂન (હિ.સ.) : અમદાવાદ જિલ્લામાં ધાર્મિક તહેવારોને અનુલક્ષીને પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી અમદાવાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૩/૦૭/૨૦૨૫ના કલાક ૨૪.૦૦ સુધી હથિયારબંધી ફરમાવેલ છે.
જાહેરનામામાં જણાવ્યા અનુસાર શસ્ત્રો, દંડા, સોટી, બંદૂક, અસ્ત્રો, હથિયાર, તલવાર, ભાલા, બંદૂક, છરી, લાકડી કે લાઠી, શસ્ત્રો, સળગતી મશાલ, અઢી ઇંચથી વધારે લાંબુ ચપ્પુ, સ્ફોટક પદાર્થો, બીજા હથિયારો કે જેના વડે શારીરિક ઇજા કરી શકાય તે સાથે રાખી ફરવા ઉપર મનાઇ છે. પથ્થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્તુઓ અથવા તેવી વસ્તુઓ ફેંકવાની કે ધકેલવાની અથવા સાધનો લઇ જવા, એકઠા કરવા અથવા તૈયાર કરવા જેવા કૃત્ય પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત મનુષ્યો અથવા શબો અથવા આકૃતિઓ અથવા પૂતળા દેખાડવાની, જેનાથી સુરુચિ અથવા નીતિઓનો ભંગ થાય તેવા ભાષણ કરવાની તથા ભેદભાવ અથવા ચેષ્ટા કરવા તથા તેવાં ચિત્રો, પ્લેકાર્ડ પત્રિકા અથવા બીજા કોઇ પદાર્થો અથવા વસ્તુઓ તૈયાર કરવા તથા બતાવવા અથવા ફેલાવો કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૧૩૫(૧) હેઠળ શિક્ષાને પાત્ર છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ