ગુજરાત સાહિત્ય અકાદમીના ‘‘દક્ષિણ ગુજરાત સાહિત્ય ઉત્સવ’’ને વલસાડવાસીઓએ મન ભરીને માણ્યો
વલસાડ, 23 જૂન (હિ.સ.)- ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા ‘‘રામની વાડીએ દક્ષિણ ગુજરાતનો સાહિત્ય ઉત્સવ’’ તા. 21 જૂને વલસાડના ધરમપુર રોડ ઉપર સાંઈલીલા મોલના રીગલ બેન્કવેટ હોલમાં યોજાયો હતો.
Valsad


વલસાડ, 23 જૂન (હિ.સ.)- ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા ‘‘રામની વાડીએ દક્ષિણ ગુજરાતનો સાહિત્ય ઉત્સવ’’ તા. 21 જૂને વલસાડના ધરમપુર રોડ ઉપર સાંઈલીલા મોલના રીગલ બેન્કવેટ હોલમાં યોજાયો હતો.

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના ચેરમેન ભાગ્યેશ ઝા ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સાહિત્ય ઉત્સવ વલસાડની પુસ્તક પરબ સંસ્થા, સાહિત્ય પ્રભાત ધરમપુર, વિદ્યામૃત વર્ષિણી પાઠશાળા અને પત્રકાર વેલ્ફેર એસોસિએશન સહિતની સંસ્થાઓની સહભાગીતા સાથે ઉજવાયો હતો. જેમાં સાંજે ૪ થી ૫ કલાકે પ્રથમ સત્ર ‘‘નંદીગ્રામની નિશ્રામાં... કવિ સંમેલન’’માં રાજેન્દ્ર શુકલ, માધવ રામાનુજ, અશોક ચાવડા, સુરેશ વિરાણી, નિરજા પારેખ અને હરદ્વાર ગોસ્વામી સહિતના કવિઓએ ભરવરસાદના માહોલમાં શ્રોતાઓને પોતાની એક થી એક ચઢિયાતી કવિતાઓથી ભીંજવ્યા હતા. બીજુ સત્ર સાંજે ૫ થી ૬ ‘‘વાર્તા વાચિકમ’’માં નૈષધ પુરાણી અને તેમની ટીમે હેમાંશી શૈલત તથા કુંદનિકા કાપડીયાની વાર્તા તથા જયોતિન્દ્ર દવેના નિબંધનું વાંચકમ દ્વારા લોકોને હાસ્યથી તરબોળ કર્યા હતા. ત્રીજુ સત્ર સાંજે ૬ થી ૭માં ‘‘પરીક્ષાની જિંદગી અને જિંદગીની પરીક્ષા’’ વિષય પર હર્ષ મેસવાણીયાએ પાંચ ‘‘એફ’’નું મહત્વ સમજાવ્યું હતું. જેમાં (૧) ફોકસ- જે તે વિષય પર ધ્યાન કેન્દ્રિત કરો તો ઘણું બધુ પાર કરી જવાય છે, (૨) ફિયરલેશ- જો ડર ન હોય તો ઘણુ બધુ પાર કરી શકાય છે, તમે ધારો તો એવરેસ્ટ પણ સર કરી શકો છો, (૩) ફેઈથ એટલે ભરોસો, તમે આ કામ કરી શકો એવો ભરોસો -વિશ્વાસ હોવો જોઈએ, (૪) ફર્મ- દ્દઢ મક્કમ નિર્ધાર હોય તો અઘરા સાહસ પણ પાર પાડી શકાય છે અને (૫) ફિનિશ- કોઈ કામ શરૂ તો કરી દેવાય છે પણ તેને સફળતાપૂર્વક પૂર્ણ કરવાનું એ પણ એક અલગ કળા છે. જે ખૂબ જ મહત્વનું છે.

‘‘પરીક્ષાની જિંદગી અને જિંદગીની પરીક્ષા’’ વિષય પર બીજા વક્તા લલિત ખંભાયતાએ કલાસરૂમની પરીક્ષા કરતા જીવનની પરીક્ષા વધુ મહત્વની હોવાનું જણાવી બદલાતા જતા સમય સાથે ટેકનોલોજીથી અપડેટ રહેવાની વાત કરી જણાવ્યું કે, જે નવી નવી ટેક્નોલોજી આવી રહી છે તેના નિષ્ણાંત બનશો એટલે સફળતા આપોઆપ મળશે. ટેકનોલોજીનો ડર નથી પણ તેના વિશે જાણતા નથી તેનો ડર છે. ટેકનોલોજીને તક તરીકે જોઈશું તો ચોક્કસ સફળ થઇશુ. જો ટેકનોલોજીને પડકાર તરીકે જોઈશું તો મુશ્કેલી વધશે.

ચોથા અંતિમ સત્રમાં તીથલ તટે લોકસંગીતની સરવાણીમાં લોકગીત ગાયક કલાકાર હાર્દિક દવે અને તેમની ટીમે ગંગા સતીનું વીજળીના ચમકારે મોતીડા પરોવે પાન બાઈ..., તાળી પાડો તો મારા રામ ની હો બીજી તાળી ના હોય જો..., ૧૨ માસ રાધા કૃષ્ણને કેવી રીતે યાદ કરે છે તે અંગેની લાગણી રજૂ કરતા ગીતો, ઝવેરચંદ મેઘાણીની વરસાદ ઉપર લખેલી કવિતા, ગુજરાતી સાહિત્યના લોક કવિના ગીતો અને સંસ્કૃત, પ્રાકૃત તેમજ ચારણી ભાષાનો સમન્વય કરતી શિવની કવિતા સંગીતના તાલે સુરીલા સ્વરે ગાતા પ્રેક્ષકો પણ સંગીતના તાલે ઝુમી ઉઠ્યા હતા.

ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાધવે જણાવ્યું કે, કલાકાર હાર્દિક દવે જ્યારે જ્યારે ગાઈ છે ત્યારે તેમના ગીત અને ભજનોમાં ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે. લોકસંગીતની તાકાત એમણે એક, બે નહી પણ ચાર ઘણી વધારવાનું અદભૂત કાર્ય કર્યુ છે. વલસાડ ખાતે આ સાહિત્ય ઉત્સવને સફળતાપૂર્વક પાર પાડવાનું કાર્ય પ્રો.ડો.આશા ગોહિલ, હાર્દિક પટેલ અને તેમની સમગ્ર ટીમે કર્યુ છે. વલસાડની જનતાએ પણ આ ઉત્સવને મન ભરીને માણ્યો હોવાથી સાહિત્ય અકાદમીનો હેતુ સાર્થક થયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande