પાટણ, 23 જૂન (હિ.સ.)પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી 25 જૂન, 2025ના રોજ યોજાવાની છે. મતગણતરી દરમિયાન કાયદો અને શાંતિ જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર ભટ્ટે મહત્વપૂર્ણ જાહેરનામું જાહેર કર્યું છે.
જાહેરનામા મુજબ, મતગણતરી કેન્દ્રથી 200 મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ લોકોના એકત્ર થવા પર પ્રતિબંધ રહેશે. તેમજ આ વિસ્તારમાં સૂત્રોચ્ચાર કરવો કે અફવાઓ ફેલાવવી પણ પ્રતિબંધિત રહેશે. ઉપરાંત લાઠી, હથિયાર, વિસ્ફોટક પદાર્થો, મોબાઈલ ફોન, પેજર, કોર્ડલેસ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો પણ આ વિસ્તારમાં લઈ જવાની મંજૂરી નહીં હોય.
આ નિયંત્રણો પોલીસ, સુરક્ષા દળો અને ચૂંટણી અધિકારીઓને લાગુ પડશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા–2023ની કલમ–223 હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર