પાટણ, 23 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં બિરાજમાન શ્રી ચામુંડા ભવાની માતાજીનો ૧૧મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક અને હર્ષોળ્લાસ સાથે ઉજવાયો હતો. જેઠ વદ અગિયારસ, શનિવાર તા. ૨૧ જૂનના રોજ આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માતાજી ગણાત્રા પરિવારની કુળદેવી તરીકે પૂજાતા હોવાથી સમગ્ર પરિવાર તેમજ દીકરીઓએ પણ સપરિવાર ઉપસ્થિતિ નોંધાવી હતી.
કાર્યક્રમમાં યજ્ઞ વિધિ અને શોભાયાત્રાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ગણાત્રા પરિવાર તથા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી આ પાવન પાટોત્સવને યાદગાર બનાવ્યો હતો. ભક્તિભાવથી માતાજીની પૂજા-અર્ચના કરાઈ હતી અને અંતે સર્વે ભક્તોએ પ્રસાદનો આનંદ માણ્યો હતો.
આ ધાર્મિક કાર્યક્રમમાં મુખ્ય યજમાન તરીકે યોગેશભાઈ જશવંતલાલ ગણાત્રા, તેજસભાઈ જશવંતલાલ ગણાત્રા અને કાંતાબેન જશવંતલાલ ગણાત્રાએ સેવા આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર