સુરત, 23 જૂન (હિ.સ.)-સુરત શહેરમાં વરસી રહેલા
અવિરત વરસાદના કારણે શહેરના વિવિધ સ્થળોએ પાણી ભરાયા હતા. મહાપાલિકા કમિશનર શાલિની
અગ્રવાલ દ્વારા ઊભી થયેલી પરિસ્થિતિને પગલે ICCC- ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર ખાતે
પહોંચી વિવિધ ઝોનના અધિકારીઓને તાકીદે પગલાંઓ લેવા સુચના આપી હતી. શહેરના વિવિધ
સ્થળોએ ભરાયેલા પાણીનો નિકાલ કરી, રસ્તાઓ વાહન વ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવ્યા છે.
મહાનગરપાલિકા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગોતાલાવાડી, ઉધના દરવાજા, સૈયદપુરા, સાંઇ આશિષ વેજીટેબલ માર્કેટ, મોરાભાગળ
સુભાષ ગાર્ડન ચાર રસ્તા, પ્રાઇમ આર્કેડ, હોડી બંગલા, ધનમોરા કોમ્પલેક્ષ અડાજણ, કાસકીવાડ, ગલેમંડી વિસ્તાર, ગુજરાત ગેસ સર્કલ, રિષભ ચાર રસ્તા સહિતના સ્થળોએ મનપાની ટીમો
દ્વારા પાણીનો નિકાલ કરી રસ્તાઓને વાહન વ્યવહાર માટે ખુલ્લા કરાયા છે.
ભારે વરસાદના કારણે એલ.પી. સવાણી
સર્કલ પાસે, ટયુશન કલાસના
આઠ બાળકો અને સરથાણા ફાયર સ્ટેશન પાસે મારૂતિવાનમાં જતા પાંચ બાળકોને સલામત સ્થળે
ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત અખંડ આનંદ કોલેજની બે વિદ્યાર્થિનીઓને પરીક્ષા આપવા
સમયસર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વરસાદી સ્થિતિમાં મ્યુ. કમિશનર
શાલિની અગ્રવાલ દ્વારા અધિકારીઓને માર્ગદર્શન આપી આવશ્યક પગલાંઓ લેવા સૂચનાઓ
આપવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે