સંવિધાન હત્યા દિવસ: કટોકટીકાળમાં લોકશાહીના મૂલ્યો માટે સંઘર્ષ કરનારા બંધારણના હિમાયતીઓને યાદ કરવાનો દિવસ
ગાંધીનગર, 25 જૂન (હિ.સ.) : 25 જૂનના રોજ ગાંધીનગર જિલ્લામાં રાજ્ય કક્ષાના કાર્યક્રમ સહિત, સમગ્ર રાજ્યમાં અને દેશમાં ''સંવિધાન હત્યા દિવસ'' નિમિત્તે લોકશાહીના મૂલ્યો માટે સંઘર્ષ કરનારા બંધારણના હિમાયતીઓને યાદ કરવાના હેતુથી વિશેષ કાર્યક્રમો યોજાયા.
સંવિધાન હત્યા દિવસ


ગાંધીનગર, 25 જૂન (હિ.સ.) : 25 જૂનના રોજ ગાંધીનગર જિલ્લામાં રાજ્ય કક્ષાના કાર્યક્રમ સહિત, સમગ્ર રાજ્યમાં અને દેશમાં 'સંવિધાન હત્યા દિવસ' નિમિત્તે લોકશાહીના મૂલ્યો માટે સંઘર્ષ કરનારા બંધારણના હિમાયતીઓને યાદ કરવાના હેતુથી વિશેષ કાર્યક્રમો યોજાયા. ત્યારે આ ઐતિહાસિક દિવસનું મહત્વ શું છે તે જાણવું જરુરી છે. કટોકટી શું હતી અને બંધારણનું મહત્વ યુવા પેઢીને જાણવા મળે તે અગત્યનું છે.

ઈતિહાસની તવારીખમાં વર્ષ ૧૯૭૫માં તત્કાલિન વડાપ્રધાન દ્વારા ૨૫મી જૂને દેશમાં કટોકટી લાદવામાં આવી હતી. મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ (MISA) અંતર્ગત કોઈ પણ પ્રકારની ટ્રાયલ વગર કોઈ પણ વ્યક્તિની અટકાયત કરી તેને જેલભેગા કરી દેવામાં આવતા હતા.

નાગરિકોના અને પ્રેસ-મીડિયાના હક્ક અને તેમની સ્વતંત્રતાને રાતોરાત આંચકી લેવામાં આવી હતી. વર્તમાન કેન્દ્ર સરકારે કટોકટીના આ કાળા દિવસને પ્રતિવર્ષ ૨૫ જૂને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે ઓળખવાની જાહેરાત કરી હતી.

ગત વર્ષે ૧૨ જુલાઈના રોજ કેન્દ્ર સરકારે એક સત્તાવાર ગેઝેટ પ્રસિદ્ધ કરી અને તા.૨૫ જૂનને 'સંવિધાન હત્યા દિવસ' તરીકે ઓળખવાની જાહેરાત કરી છે જેના ઉપલક્ષમાં અમરેલી મુકામે પણ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

વર્ષ ૧૯૭૫ની કટોકટી દરમિયાન લોકશાહી હોવા છતાં હજારો લાખો લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. અભિવ્યક્તિની આઝાદી ઝૂંટવી લેવામાં આવી હતી. કટોકટી ભરી આવી સ્થિતિમાં દેશમાં લોકશાહીને પુર્નજિવિત કરવા માટે સંઘર્ષ કરનારા, યોગદાન આપનારા લોકોને સન્માનિત કરવા માટે પ્રતિવર્ષ સંવિધાન હત્યા દિવસે યાદ કરવામાં આવશે.

ભારત લોકશાહી દેશ છે. ભારતના બંધારણમાં ઉલ્લેખિત સ્વતંત્રતાનો અધિકાર, સમાનતાનો અધિકાર, શોષણ વિરુદ્ધનો અધિકાર, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, સંસ્કૃતિ અને શિક્ષણ સંબંધી અધિકાર થકી નાગરિકો સશક્ત બન્યા છે.

નાગરિકોને અભિવ્યક્તિની સ્વતંત્રતા પ્રાપ્ત થઈ છે. નાગરિકો શાંતિપૂર્વક, હથિયારો વગર એકત્રિત થવાની સ્વતંત્રતા ધરાવે છે સાથે સંગઠન અથવા સંઘ બનાવવાનો પણ અધિકાર છે. નાગરિકો ભારતમાં મુક્ત રીતે હરી ફરી શકે છે.

ભારતના કોઈપણ ભાગમાં નાગરિકને રહેવાનો અને સ્થાયી થવાનો અધિકાર છે, નાગરિક કોઈપણ વ્યવસાય, રોજગાર, વેપાર કરી શકે છે. બંધારણે નાગરિકને આપેલા આ તમામ અધિકારો ભારતના નાગરિકને સશક્ત બનાવે છે. મૂળભૂત અધિકારના ભંગ બદલ નાગરિકોને ઉચ્ચતમ ન્યાયાલયમાં જવાનો અધિકાર પણ એક મૂળભૂત અધિકાર છે. આવા અમૂલ્ય અધિકારો આપનારા દેશના સર્વોચ્ચ સ્થાન ધરાવતા બંધારણને એક જ રાતમાં તત્કાલીન વડાપ્રધાને મોકૂફ કરી અને કટોકટીનો કાળો કાયદો અમલમાં મૂક્યો હતો.

ભારતના લાખો નાગરિકોએ વારસામાં મળેલી આઝાદી અને બંધારણના ઘડવૈયાઓએ આપેલા બંધારણને પૂન: સ્થાપિત કરવા જેલના સળીયા ગણ્યા હતા. દેશની આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પોતાનું યોગદાન આપનારા લડવૈયાઓને અંજલિ આપવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande