ભુજ/ગાંધીનગર, 25 જૂન (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ભુજ સ્થિત વાયુસેના સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ત્યાં તહેનાત વાયુસૈનિકો સાથે આત્મીયતા પૂરક સંવાદ કર્યો. તેમણે દેશની રક્ષા માટે સદૈવ સજ્જ રહેનાર ભારતીય વાયુસેનાના જવાનોના અનુશાસન, સમર્પણ અને રાષ્ટ્રસેવાની ભાવનાની દિલથી પ્રશંસા કરી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ ખાસ કરીને 'ઓપરેશન સિંદૂર' દરમિયાન ભારતીય વાયુસેનાની ભૂમિકાની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ અપ્રતિમ ઉત્સાહ અને દ્રઢ સંકલ્પશક્તિ સાથે ફરજ નિભાવવી એ ભારતીય વાયુસેનાની ખાસિયત છે. તેમણે વાયુસૈનિકોના જુસ્સા અને કર્તવ્યપરાયણતાને વંદન કરતા કહ્યું કે: “રાષ્ટ્રની સુરક્ષા અને સર્વભૌમત્વના રક્ષણમાં તમારું યોગદાન અનમોલ અને ગૌરવપૂર્ણ છે. આખો દેશ તમારી વીરતા અને સમર્પણને નમન કરે છે.”
રાજ્યપાલએ વાયુસૈનિકો સાથે સંવાદ કરતાં કહ્યું કે, રાષ્ટ્ર સદા તેમની પડખે છે. તેમણે હાજર અધિકારીઓ અને જવાનોને શુભેચ્છાઓ પાઠવી અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી.
આ અવસરે વાયુસેના સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓએ રાજ્યપાલને સ્ટેશનની પ્રવૃત્તિઓ, વ્યૂહાત્મક મહત્તા તથા ઓપરેશન સિંદૂરમાં ભજવવામાં આવેલી ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ