ગીર સોમનાથ જિલ્લાના જાણીતા જમજીર ધોધ નજીક, શીંગોડા નદીમાં ફસાયેલા દીવના ૬ સહેલાણીઓનો દિલધડક બચાવ
ગીર સોમનાથ 27 જૂન (હિ.સ.) અત્યારે જિલ્લામાં વરસાદી માહોલ જામેલો છે. આવા વાતાવરણમાં કુદરતી સંપદા અને નદીનાળાને જોવાં માટે અનેક સહેલાણીઓ ગીર સોમનાથ જિલ્લામાં પધારતા હોય છે. આવા જ દીવથી ફરવા આવેલા ૬ સહેલાણીઓ ગીર ગઢડા તાલુકાના જામવાડા પાસે આવેલા જામજીર
દીવથી ફરવા આવેલા ૬ સહેલાણીઓ


ગીર સોમનાથ 27 જૂન (હિ.સ.) અત્યારે જિલ્લામાં વરસાદી માહોલ જામેલો છે. આવા વાતાવરણમાં કુદરતી સંપદા અને નદીનાળાને જોવાં માટે અનેક સહેલાણીઓ ગીર સોમનાથ જિલ્લામાં પધારતા હોય છે.

આવા જ દીવથી ફરવા આવેલા ૬ સહેલાણીઓ ગીર ગઢડા તાલુકાના જામવાડા પાસે આવેલા જામજીર ઘોધ નજીક શીંગોડા નદીમાં અચાનક વધેલા પાણીના પ્રવાહમાં ફસાઈ ગયાં હતાં.

આ અંગેની જાણ થતાં તુરંત જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદા તથા લાયઝન અધિકારી કોડીનાર, મામલતદારશ્રી, કોડીનાર અને ગીર ગઢડા, વેરાવળ ફાયર વિભાગ, કોડીનાર પોલીસ વિભાગ, જામવાળા ગામનાં સ્થાનિક લોકો તથા તરવૈયાની તાત્કાલિક કામગીરીથી તમામને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં હતાં.

સફળ રીતે રેસ્ક્યુ કર્યા બાદ તેઓને સારવાર માટે C.H.C. ગીર ગઢડા ખાતે લઈ જવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જમજીર ધોધ અને તેની પાસની શિંગોડા નદીમાં વરસાદી પાણી સતત રહેવાના કારણે તેમજ નીચેની ખડકાળ જમીનને કારણે લપસણી ભૂમિ છે જેને કારણે પ્રતિવર્ષ કોઈને કોઈ આવી ઘટના બનતી હોય છે.

આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય જાહેર જનતાને અનુરોધ કર્યો છે કે, વરસાદી માહોલમાં જમજીર ધોધ નજીકનો વિસ્તાર જોખમી હોવાથી તેની નજીક જવું નહીં.

કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ગીર સોમનાથ દ્વારા આ વિસ્તારમાં પ્રતિબંધ અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરેલ છે.

તેથી પોતાના જાન-માલના રક્ષણ માટે સાવધાનીપૂર્વક અને કાળજીપૂર્વક આ વિસ્તારમાં પ્રવાસ કરવો. તેમ જ ભરાયેલા પાણીના પ્રવાહની નજીક ન જવા પણ જિલ્લા કલેકટરએ અનુરોધ કર્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande