મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગર SGVP ગુરુકુળથી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું
ગાંધીનગર, 27 જૂન (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન પ્રસંગે SGVP ગુરુકુળ, મેમનગર ખાતેથી SGVP અમદાવાદ દ્વારા આયોજિત ૧૮મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીની પૂજા-અર્ચના અને આરતી કરીને આશી
મેમનગર SGVP ગુરુકુળ


મેમનગર SGVP ગુરુકુળ


મેમનગર SGVP ગુરુકુળ


મેમનગર SGVP ગુરુકુળ


ગાંધીનગર, 27 જૂન (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અષાઢી બીજના પાવન પ્રસંગે SGVP ગુરુકુળ, મેમનગર ખાતેથી SGVP અમદાવાદ દ્વારા આયોજિત ૧૮મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથજીની પૂજા-અર્ચના અને આરતી કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીએ ઉપસ્થિત મહાનુભાવો અને સંતો સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની પ્રતિમાઓને રથમાં બિરાજમાન કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ સૌ મહાનુભાવો અને સંતો સાથે રથોને પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌને રથયાત્રા, અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. રથોના પ્રસ્થાન સમયે હરિ ભક્તોએ 'જય રણછોડ, માખણ ચોર'ના નાદ સાથે વાતાવરણમાં અનેરી ઉર્જાનો સંચાર કર્યો હતો.

બાલકૃષ્ણદાસજી સ્વામીજીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અષાઢી બીજનાં પાવન અવસરે દેશભરમાં વિવિધ સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. અમદાવાદમાં જગન્નાથ મંદિરની રથયાત્રા જાણીતી છે.

એ જ રીતે, મેમનગર ગુરુકુળની રથયાત્રામાં પણ ભગવાન જગન્નાથજી મેમનગર અને આસપાસના વિસ્તારોના નગરજનોને આશીર્વાદ અને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર મેમનગર ગુરુકુળ ખાતેથી આજે આ રથયાત્રાનો પ્રારંભ કરાવશે એ આપણા સૌ માટે આનંદની વાત છે એમ તેમણે ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીના ૧૨૪મા જન્મદિન પ્રસંગે તથા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, મેમનગર સુવર્ણ જયંતી મહોત્સવના ઉપક્રમે SGVP અમદાવાદ દ્વારા ૧૮મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રથયાત્રામાં વિવિધ થીમ અને સજાવટથી સુસજ્જ રથોએ ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. આ રથયાત્રા શહેરના મેમનગર આસપાસના ૭ કીમી જેટલા વિસ્તારોમાં ફરીને સાંજે મેમનગર ગુરુકુળ ખાતે પરત ફરશે.

SGVP અમદાવાદ દ્વારા આયોજિત રથયાત્રા પ્રસ્થાન સમયે ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, શહેર પ્રમુખ પ્રેરકભાઈ શાહ, AMTSના ચેરમેન ધરમશીભાઈ દેસાઈ, સદગુરુ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી સહિત મોટી સંખ્યામાં સંતો, હરિભક્તો અને શહેરીજનો જોડાયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande