જૂનાગઢ, 27 જૂન (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા એ મેંદરડા, આલીધ્રા, ડેડકિયાળ શાળા ખાતે બાળકોનો શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉત્સાહભેર શાળાનો પ્રવેશ કરાવ્યા.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ - ૨૦૨૫ અન્વયે આજ રોજ પ્રથમ દિવસે જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા એ મેંદરડા, આલીધ્રા, ડેડકિયાળ શાળા ખાતે બાળકોનો ઉત્સાહભેર શાળાનો પ્રવેશ કરાવ્યો હતો.
કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ એ મેંદરડા તાલુકાની આલીધ્રા ગામ ખાતે વી.વી.એમ. હાઇસ્કુલ, આલીધ્રા પે સેન્ટર શાળા,મેંદરડાની સરસ્વતી વિદ્યા મંદિર,ડેડકિયાળ પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી, બાલવાટિકા, ધોરણ ૧, ધોરણ ૯ અને ધોરણ ૧૧ માં બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે કલેક્ટરશ્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા સાથે દીકરીઓના અભ્યાસને વેગ આપવા તેમજ બાળકના શાળાના પ્રવેશ થાય તેને તહેવારની જેમ મનાવીએ એ માટે શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો.
કલેકટર એ આ પ્રસંગે બાળકોને પ્રેરણાત્મક સંબોધન આપ્યું હતું. તેમણે બાળકોને મોબાઈલનો ઉપયોગ ઓછો અને અભ્યાસની પ્રવૃત્તિઓ માટે કરવા અપીલ કરી હતી.સાથે જ તેમણે જણાવ્યું હતું કે મોબાઈલનો સતત ઉપયોગ કરવાથી વિચારવાની ક્ષમતા ઓછી થઈ જાય છે,અભ્યાસમાં ગ્રહણ શક્તિ પર પણ અસર થાય છે. આ સાથે જ તેમણે શાળાના પરિસરમાં અને રોજિંદા જીવનમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
કલેકટર એ શાળાઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, પરિણામની સિદ્ધિ બિરદાવી હતી. તેમજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના સુંદર આયોજન બદલ શાળાના આચાર્ય શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
કલેક્ટર આ તકે શિક્ષકોને વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે વ્યવહારુ જ્ઞાન આપવા પણ અનુરોધ કર્યો હતો. વિધાર્થીઓ શિક્ષણ પુરૂ થયા પછી કારકિર્દી બનાવવામાં અને હરીફાઈમાં કઈ રીતે સફળ થઈ શકાય તે પ્રકારનું શિક્ષણ આપવા પર ભાર મુકયો હતો. સાથેજ જે વિદ્યાર્થીઓના પરીક્ષામાં ઓછા માર્કસ આવે છે, નિષ્ફળ જાય છે એવા બાળકોને જરૂરી દિશા, સમજ અને મદદરૂપ થવા પણ જણાવ્યુ હતુ.
આ કાર્યક્રમ દરમ્યાન CET પરિક્ષા તેમજ NMMS પરિક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે વિદ્યાર્થીનીઓ દ્વારા પર્યાવરણ તથા કન્યા કેળવણી સહિતના વિષયો પર વક્તવ્ય આપવામાં આવ્યુ હતું. કલેક્ટર શ્રી સહિતના મહાનુભાવોના હસ્તે શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
કલેક્ટરએ એસએમસીના સભ્યો અને શાળાના શિક્ષકો સાથે મુલાકાત કરી શાળાની ભૌતિક સુવિધાઓ, શૈક્ષણિક કામગીરી અન્ય સુવિધાઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
આ સાથે જ કલેકટર એ આલીધ્રાની પે સેન્ટર પ્રાથમિક શાળા ખાતે ફિલ્ટર પ્લાન્ટ માટે તેમની ગ્રાન્ટથી રકમ આપવાની પણ જાહેરાત કરી હતી.
આ પ્રસંગે મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ પરિત માકડીયા, ગામના સરપંચ પદાધિકારીઓ, અધિકારીઓ, ગ્રામજનો શાળાના આચાર્ય, શિક્ષકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ