મોડાસા, 28 જૂન (હિ.સ.) અષાઢી બીજ એટલે કે રથયાત્રાના પવિત્ર દિવસે સાઠંબા બાયડ માર્ગ પર આવેલા સવેલા નજીક શ્રી રામદેવપીરના મંદિરે શ્રદ્ધાનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. આમ તો આખા વર્ષની દર સુદ બીજે શ્રી રામદેવજી મંદિર સવેલા ખાતે આજુબાજુના 50 કિલોમીટરના વિસ્તારમાંથી લોકો પગપાળા દર્શને આવતા હોય છે.
પરંતુ આજે અષાઢી બીજ હોવાથી લગભગ 25 હજાર ઉપરાંત ભક્તોએ શ્રી રામદેવપીર મંદિર સવેલા ખાતે દર્શન કરી પાવન થઈ ગયા હતા. વહેલી સવારથી જ મંદિરે ભક્તોની ભીડ જામી હતી.
શ્રી રામદેવપીરના મંદિરે નેજો ચડાવવાનું અનેરૂ મહત્વ હોય છે. નેજો ચડાવી ભક્તો દ્વારા શ્રી રામદેવપીર સમક્ષ પોતાની મનોકામના રજુ કરતાં બીજી બીજ સુધીમાં ભક્તોની મનોકામના બાબા રામદેવ પુર્ણ કરતા હોવાનું શ્રદ્ધાળુઓનું કહેવું છે.
શ્રી રામદેવપીર મંદિર સવેલાના સંચાલક મંડળ દ્વારા પણ ભક્તો માટે સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી હતી શ્રી રામદેવપીરના દર્શન કરી પોતાની બાધા આખડી માની સંચાલક મંડળ દ્વારા આયોજિત મહાપ્રસાદમાં ભાગ લઈ ભક્તો ધન્ય થઈ ગયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ