વડોદરા, 28 જૂન (હિ.સ.)- શહેરના કારેલીબાગ વિસ્તારમાં વિશ્વામિત્રી નદીથી આજે સવારે વધુ એક મહાકાય મગરનો મૃતદેહ મળી આવ્યો છે. અંદાજે 10 ફૂટ લાંબો અને 200 કિલો વજનનો આ મગર મૃત હાલતમાં મળતાં ચકચાર મચી ગઈ છે. છેલ્લાં છ મહિનામાં વડોદરામાં મગરના મૃત્યુની આ નવી ઘટના બની છે, જેને લઈ વનવિભાગની કામગીરી અને મગરોની સુરક્ષા અંગે અનેક સવાલો ઊભા થયા છે.
મૃતદેહ કારેલીબાગ બુદ્ધદેવ કોલોની નજીકના કમાટીબાગ બ્રિજ નજીક દેખાતા સ્થાનિકો અને જીવદયા સંસ્થાઓ દોડી આવી હતી. વનવિભાગની ટીમે મૃત મગરને બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે, જેથી મૃત્યુનું કારણ જાણી શકાય.
વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે અત્યાર સુધીના નવ મોતમાંથી બેથી ત્રણ બનાવ માર્ગ અકસ્માત અથવા રેલવે ટકરાવના હતા, જ્યારે બાકી ઘણા મગરોના મોતના સાચા કારણ હજુ અસ્પષ્ટ છે. આ ઘટનાઓને ધ્યાનમાં લઈને જીવદયા સંસ્થાઓ અને નાગરિકોએ નદીકાંઠે મગરોની સુરક્ષા માટે કડક પગલાં લેવાની માગ ઊઠાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે