વડોદરા, 28 જૂન (હિ.સ.)- કમાટીબાગમાં ગત 10મેના રોજ જોય ટ્રેનની અડફેટે આવી 4 વર્ષીય બાળકીને ભયાવહ ઇજા પહોંચતાં મૃત્યુ થયું હતું. દુર્ઘટના બાદ દોઢ મહિના સુધી પરિવારજનો દ્વારા ગુનો નોંધવાની માંગ છતાં કાર્યવાહી અટકાવાતા હવે આખરે સયાજીગંજ પોલીસે જોય ટ્રેનના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે.
જંબુસરના કોઠીયાની વાડી કસ્બા ખાતે રહેતી નાઝીયા પરવેઝખાન પઠાણે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની પુત્રી ખદીજાહ પરિવારજનો સાથે કમાટીબાગ ગાર્ડન જોવા માટે આવી હતી. જોય ટ્રેનમાં એક રાઉન્ડ લઈ પછી તેઓ કેન્ટીન તરફ જતાં હતા ત્યારે એક બીજું રાઉન્ડ ચલાવતી ટ્રેન પાછળથી આવી. આ સમયે બાળકી ટ્રેન તરફ દોડી અને દુર્ઘટનામાં તેનો પગ એન્જિનમાં આવી જતા, વ્હીલ તેના પેટ પરથી ફરી ગયું હતું, જેના કારણે આંતરડા બહાર આવી જતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
તહેવારના દિવસે બની રહેલી આ દુર્ઘટના બાદ પરિવારજનો દ્વારા તાત્કાલિક ફરિયાદ માટે દબાણ કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસે જણાવ્યા અનુસાર શોકગ્રસ્ત પરિવારના નિવેદનો અને પુરાવા એકત્ર કરવા સમય લાગ્યો. હવે પુરાવાના આધારે ડ્રાઇવર અશ્વિન ડામોર (મૂળ પંચમહાલ) સામે બેદરકારીથી મોતના ગુનો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે