ગીર સોમનાથ, 28 જૂન (હિ.સ.) શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ના દ્વિતિય દિવસે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઊના તાલુકાના સોનારી પ્રાથમિક શાળા, તડ પે-સેન્ટર શાળા, કોબ પ્રાથમિક શાળામાં બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
મંત્રએ પ્રેરક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, 'શાળા પ્રવેશોત્સવ' થકી કોઈપણ પરિવારનું બાળક શિક્ષણથી વંચિત ન રહે એવી સરકારની નેમ છે. શાળાપ્રવેશ પછી બાળકોની શિક્ષણની જ્યોત અવિરત પ્રજ્જવલિત રાખવી એ શિક્ષક ઉપરાંત વાલીઓની પણ જવાબદારી છે. હવે ગ્રામ્યસ્તરે પણ વાલીઓ જાગૃત થયાં છે અને દીકરાઓની સાથે-સાથે દીકરીઓને પણ શિક્ષિત કરી રહ્યાં છે. જે આનંદની વાત છે.
વ્યસનમુક્તિથી જીવન ઘડતરનો પ્રેરક સંદેશો આપતા મંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણની સાથે સંસ્કારો અને કેળવણી પણ અત્યંત જરૂરી છે. જેના થકી વિદ્યાર્થીઓના ઉત્તમ ચારિત્ર્યનું ઘડતર કરી દેશના ઉત્તમ નાગરિકોનું નિર્માણ એ આપણાં સૌની સહિયારી જવાબદારી છે
મંત્રીએ પોતાના બાળપણના શાળા સમયના સંસ્મરણો યાદ કરીને જણાવ્યું હતું કે, ગ્રામ્યસ્તરે ઉછરેલા બાળકોમાં અઢળક શક્તિઓ પડેલી હોય છે. શિક્ષણની સાથે જ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે એ પણ જરૂરી છે.
આ સાથે જ મંત્રીશ્રીએ તમામ વિદ્યાર્થીઓ ભણતરની સાથે જ યોગ્ય કેળવણી થકી આગળ વધી જીવનમાં સફળતા મેળવે એવી શુભેચ્છાઓ આપી હતી.
મંત્રીએ બાલવાટીકા, આંગણવાડીના ભૂલકાંઓને પા..પા..પગલી કરાવી હતી તો ધો.૧ તેમજ ધો.૯માં પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવાની સાથે જ શાળામાં પ્રવેશ અપાવ્યો હતો.
મંત્રીએ એસ.એમ.સી કમિટીના સભ્યો તથા શાળા કર્મચારી ગણ સાથે બેઠક યોજી શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ વિશેની જાણકારી મેળવી હતી અને શૈક્ષણિક ક્ષેત્રના સૂચનો આવકાર્યાં હતા.
'પ્રવેશોત્સવ'માં આચાર્ય અને શિક્ષકો દ્વારા સરકાર તરફથી વિદ્યાર્થીઓને મળતી વિવિધ સહાય અને નમોલક્ષ્મી, નમોસરસ્વતી, પી.એમ.પોષણ યોજના, પ્રાથમિક અને માધ્યમિકની વિવિધ શિષ્યવૃતિ જેવી શૈક્ષણિક યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી.
ગત વર્ષે અભ્યાસમાં અવ્વલ ક્રમાંક મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને સી.ઈ.ટી તેમજ. એન.એન.એમ.એસ, જ્ઞાન સાધનામાં સ્કોલરશીપ મેળવનાર, શાળાની વિવિધ શૈક્ષણિક સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ તથા શાળામાં ગત વર્ષે ૧૦૦% હાજરી આપી હોય તેવા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતાં.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીના આ મહોત્સવ દરમિયાન ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ, જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાંદા, સરપંચ, મામલતદાર શાળાના શિક્ષકગણ, આચાર્ય તેમજ ગામના આગેવાનો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ