વરસાદની આડમાં કાળુ તીવ્ર દુર્ગંધ મારતું ગંદુ એસિડિક પ્રવાહી રસાયણ વેસ્ટ વહી રહ્યું છે
અમરાવતી નદીમાં અવિરત નલધરી અને વટારીયાના કોતરમાંથી કેમિકલ ઠલવાય રહ્યું છે
અંકલેશ્વર જીપીસીબીએ સેમ્પલ લઈ જાણે સંતોષ માન્યો હોય તેમ લાગી રહ્યું છે
નલધરી અને વટારીયા કોતરમાં ઠલવાતા બેરોકટોક કેમિકલ વેસ્ટ છતાં કોઈ કાર્યવાહી નહી
ભરૂચ 28 જૂન (હિ.સ.)
વાલિયા જીઆઈડીસીમાંથી બેજવાબદાર ઉદ્યોગો દ્વારા નલધરી અને વટારીયાના કોતર મારફતે રાસાયણિક વેસ્ટ છોડવામા આવી રહ્યું છે.ચાર દિવસ પહેલા આ બાબતે પુરાવા સાથે ફરિયાદ જીપીસીબીને કરવામાં આવી હતી તેમ છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહી આવી હોય તેમ બેખોફ થઈને જાહેરમાં પ્રવાહી રસાયણ વરસાદની આડમાં છોડાય રહ્યું છે.જીપીસીબીએ માત્ર સેમ્પલ લઈ સંતોષ માન્યું હોય અને કરવા ખાતર કાર્યવાહી કરી હોય તેમ આજેપણ બન્ને કોતરમાંથી રસાયણયુક્ત ઝેરી પ્રવાહી કાળુ દુર્ગંધ યુક્ત નીકળી રહ્યું છે.
દર ચોમાસાની ઋતુમાં વાલિયા જીઆઈડીસીના બેજવાબદાર ઉદ્યોગો દ્વારા બંધ પડેલ પેટ્રોફિલ્સ કંપની પાસેના કોતર મારફતે નલધરી ગામની સીમમાં વહેતા નદી-નાળામાંથી અમરાવતી નદીમાં વરસાદનો લાભ લઇ કેમિકલ યુક્ત કાળા કલરનું દૂષિત દુર્ગંધ મારતું પાણી છોડી મુકવામાં આવતા ષડયંત્ર બહાર આવ્યું છે.આ રસાયણ યુક્ત એસિડિક પ્રવાહી વહેતુ થતા એક અગ્રણીએ અંકલેશ્વર જીપીસીબીના રીજીયોનલ મેનેજર વિજય રાખોલીયાને જાણ કરતા સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં છેલ્લા 4 દિવસથી વહેતા આ દૂષિત પાણી ક્યારે બંધ થશે તેવી કોઈ કામગીરી નથી કરી .કેમિકલ યુક્ત પાણી અમરાવતી નદીમાં ભળી જતા જળચર અને માનવ તેમજ પશુને નુકશાન થશે તો તેનું જવાબદાર કોણ તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે .
વટારીયાના કોતરમાંથી જાહેર રાજ્યધોરીમાર્ગ નંબર 13 આવેલા પુલ નીચે થઈ ગેરકાયદેસર રીતે છેલ્લા પાંચ દિવસથી વટારીયા શ્રી ગણેશ સુગર બાજુથી રાસાયણિક એકદમ કાળા કલરનું તીવ્ર દુર્ગંધ મારતું પ્રવાહી વેસ્ટ અમૃત સરોવરમાં ઠલવાય રહ્યું છે .આવતા જતા લોકોએ દુર્ગંધનો કારણે મોઢા ઉપર કંઈપણ રાખવું પડે છે.આ જગ્યાએ જીપીસીબી માત્ર સેમ્પલ લઈ લીધા બાદ આજે પાંચ દિવસ થયા છતાં આ વહેતા એસિડિક પ્રવાહી બંધ કરવા કોઈપણ કાર્યવાહી નહી કરતા રોષ ફેલાયો છે .
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ