પાટણ, 28 જૂન (હિ.સ.) : મુંબઈ સ્થિત નવજીવન જૈન સંઘ છેલ્લા 15 વર્ષથી જૈન સાધુ-સાધ્વીજીઓની સેવા કરી રહ્યું છે. ચોમાસા દરમિયાન સાધુ-સાધ્વીજીઓ વાહોરતા ન હોવાને કારણે તેમને ખાસ જરૂરિયાતો હોય છે, અને તેવી જ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંઘ વૈયા વચનની વ્યવસ્થા કરે છે.
હાલમાં સંઘે પાટણ શહેરના વિવિધ ઉપાશ્રયોમાં જૈન સાધુ-સાધ્વીજીઓને વૈયા વચનનો લાભ આપ્યો છે. પાટણમાં 180થી 200 જેટલી વિવિધ આઇટમોનું વિતરણ કરાયું હતું. આ સેવાકાર્યનું સંકલન મુંબઈથી આવેલા ટ્રસ્ટીઓ મિતેશભાઈ શાહ અને જીગ્નેશભાઈ મહેતા તથા પાટણના ઢંઢેરવાડાના જીતુભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
નવજીવન જૈન સંઘે પાટણ ઉપરાંત જુના ડીસા, નવા ડીસા, પાલનપુર, શંખેશ્વર અને મહેસાણામાં પણ સાધુ-સાધ્વીજીઓને વૈયા વચનનો લાભ આપ્યો છે. સંઘ દ્વારા આ સેવાકાર્ય સતત ચાલુ રાખવામાં આવી રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર