સુરત, 28 જૂન (હિ.સ.)- સુરત શહેર ફરી એકવાર ખાડી પૂરના કારણે જળબમ્બાકાર બન્યું છે. પાંચમો દિવસ છે, છતાંયે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ યથાવત છે. ખાડી કાંઠાના વિસ્તારોમાં વસેલા નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયું છે, તો રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા છે.
અસરોના ભોગ બનેલા નાગરિકોમાં સરકારી તંત્ર અને રાજકારણીઓ સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. પર્વત ગામની એક સોસાયટીના રહેવાસીઓએ ખુલ્લેઆમ તખ્તી લગાવી દીધી છે કે: જ્યાં સુધી ખાડી પૂરનો કાયમી ઉકેલ નહીં આવે ત્યાં સુધી કોઈપણ રાજકીય નેતા મત માગવા ન આવે.
આ એક માત્ર તખ્તી નથી, પણ સુરતની જનતાના દિલની વાત છે. દર વર્ષે આવતા આ પૂર સામે તંત્ર ઝૂકી જાય છે, અને રાહતના નામે માત્ર ખાતરીઓ આપવામાં આવે છે. પરંતુ લોકો કહે છે કે ભયંકર પરિસ્થિતિ સામે જ્યારે રસ્તે રોટલો પુરાય છે ત્યારે નેતાઓ ફોટો ખેંચાવા સિવાય કંઈ નથી કરતા.
નેતાઓની બદનામી વધતી જાય છે
આ રીતે સહનશક્તિની હદે પહોંચી ગયેલા લોકો હવે ખૂલેઆમ રાજકારણીઓનો વિરોધ કરી રહ્યા છે. ખાલી આશ્વાસન નહીં, હવે અમલ જોઈએ છે – એવી માગણી છે. અનેક વિસ્તારોમાં આવી તખ્તીઓ લાગવાની શક્યતા છે.
ચુંટણીના મેદાનમાં ભરોસાનું વિસ્ફોટ?
આ મુદ્દો હવે આગામી મહાનગરપાલિકા ચૂંટણીમાં મોટો ચર્ચાનો વિષય બનવાની શકયતા છે. લોકો કહે છે કે જે તંત્ર ખાડી પૂર રોકી શકે નહીં, એ લોકશાહી બચાવી શકે નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે