પાટણ, 28 જૂન (હિ.સ.) પાટણ શહેરના આનંદ સરોવર અને ગાયત્રી મંદિર પાછળ આવેલી અનેક સોસાયટીઓ જેમ કે ચિત્રકૂટ નગર સોસાયટી, બી.એમ. હાઇસ્કૂલ, યોગેશ્વર પાર્ક, લાલભાઈ પાર્ક, મહાદેવ નગર અને કલાનગરમાં માત્ર એક-બે ઇંચ વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે. રેલવે ઘરનાળા વિસ્તારમાં પણ આ સમસ્યા ખૂબ ગંભીર બની છે. વધુ વરસાદ પડતા લોકોને ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. ઉપરાંત, શાળાએ જતા બાળકો માટે પણ આ પરિસ્થિતિ જોખમી બની રહે છે.
ગુજરાત રાજ્ય સમસ્યા મંચ (સુચિત)ના સંયોજક દ્વારા આ સમસ્યાના કાયમી નિવારણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખ હિરલબેન પરમારને રજૂઆત કરવામાં આવી છે.
રજુઆતમાં બે મુખ્ય સૂચનો કરવામાં આવ્યા છે – (1) હાઇવે વિસ્તારનું વરસાદી પાણી સરસ્વતી નદીમાં જવા માટે મોટી પાઇપલાઇન નાખવી, અને (2) રેલવે ઘરનાળાથી ગાયત્રી મંદિર વિસ્તારનું પાણી વત્રાસર કેનાલમાં મોકલવાની યોગ્ય વ્યવસ્થા કરવી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર