જૂનાગઢ 28 જૂન (હિ.સ.) : પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભુતવડ, રાષ્ટ્રીય સેવા યોજના, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે ભારત સરકારના વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન હેઠળ ભુતવડ ગામે પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
પશુચિકિત્સા મહાવિદ્યાલય જૂનાગઢના આચાર્ય ડો.મહેશભાઈ ગડરિયા અને ભુતવડ ગામના સરપંચ ભરતભાઈ બારિયા દ્વારા આ પશુપાલન શિબિર કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત સરકારના પશુપાલન વિભાગ હસ્તકના પશુ ઉછેર કેન્દ્ર, ભુતવડના મદદનીશ નિયામકશ્રી ડૉ.અરવિંદકુમાર મણવર ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે આચાર્ય ડો.મહેશભાઈ ગડરિયા દ્વારા પશુપાલનમાં પશુના દૂધ ઉત્પાદનમાં આરોગ્યનું મહત્વ આ વિષય ઉપર પશુપાલકોને સાથે ચર્ચા કરીને માર્ગદર્શન આપ્યું હતું. આ શિબિરમાં ભુતવડ ગામના કુલ ૨૭ પશુપાલકોએ લાભ લીધો હતો.
પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢના રાષ્ટ્રીય સેવા યોજના (એન એસ.એસ.) ના કાર્યક્રમ અધિકારીશ્રી ડો.અર્જુન ઓડેદરાના માર્ગદર્શન હેઠળ કોલેજના એન.એસ.એસના સ્વયંસેવકો દ્વારા ભુતવડ ગામમાં પશુપાલકોના ઘરે જઈને પશુઓના કૃમિ નિવારણ માટે માહિતી આપી હતી અને કુલ ૯૦ પશુઓ માટે કૃમિનાશક દવાઓ આપવામાં આવી હતી. આ ઉપરાંત પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, જૂનાગઢના નિષ્ણાંત તબીબો અને મદદનીશ પ્રાધ્યાપકો ડો.હરદીપસિંહ વિજયેતા (ગાયનેકોલોજી), ડો.નિલેશ પાડલીયા (સર્જરી), ડો.જયેન્દ્ર ડામોર (મેડીસીન) દ્વારા પશુઓની તપાસ કરીને સારવાર કરવામાં આવી હતી.
આ પશુપાલન શિબિર સફળ બનાવવા માટે પશુ વિજ્ઞાન કેન્દ્ર, ભુતવડના નોડલ અધિકારી ડૉ.સુરેન્દ્ર સાવરકર, પશુપાલન મહાવિદ્યાલયના ડો.અર્જુન ઓડેદરા, અંકુર દેસાઈ અને એન.એસ.એસ. ના વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમજ પશુપાલન શિબિર પછી પશુ ઉછેર કેન્દ્ર, ભુતવડ ખાતે વિદ્યાર્થીઓની મુલાકાતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમ આચાર્ય પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ