સુરત, 29 જૂન (હિ.સ.)-તા.26 થી 28 જૂન દરમિયાન રાજ્યવ્યાપી ત્રિદિવસીય 'શાળા પ્રવેશોત્સવ'ના અંતિમ દિવસે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે ઓલપાડ તાલુકાના તળાદ ખાતે આઝાદદિન સ્મારક કેળવણી મંડળ સંચાલિત તળાદ વિભાગ માધ્યમિક શાળામાં ઉપસ્થિત રહી શૈક્ષણિક કીટની ભેટ આપી ધો.9 ના 100 અને ધો.11 ના 52 મળી કુલ 152 વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ કરાવ્યો હતો. મંત્રીશ્રી અને મહાનુભાવોએ વિદ્યાર્થીઓને સ્કુલબેગ, નોટબુક, પાઠ્યપુસ્તકો સહિતની શૈક્ષણિક કીટ આપી આવકાર્યાં હતા.
આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પર વધુ ભાર આપી બાળકોના ભવિષ્યનો પાયો મજબૂત બનાવી રહી છે. આજના ભૂલકાઓ, વિદ્યાર્થીઓ ભાગ્યશાળી છે કે તેમને મુખ્યમંત્રી, મંત્રીમંડળ અને ઉચ્ચ અધિકારીઓ ગામે ગામ જઈને વાજતે ગાજતે શાળામાં પ્રવેશ કરાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી શાળા પ્રવેશોત્સવની પરંપરાને રાજ્ય સરકારે પણ જાળવી રાખી વેગવંતી બનાવી છે.
વિદ્યાર્થીઓ સાથે ભાવનાત્મક સંવાદ સાધી વનમંત્રીએ ભાર વગરના ભણતર માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ભારપૂર્વક કહ્યું કે, શાળાજીવનમાં જ ઉજ્જવળ કારકિર્દી માટે મહત્વાકાંક્ષા અને લક્ષ્ય નિર્ધારિત કરો, જીવનમાં જે ક્ષેત્રે આગળ વધવા ઈચ્છતા હો, કઈંક બનવા માંગતા હોવ તો આજે જ ધ્યેય નક્કી કરો. તેમણે વિદ્યાર્થીઓને શિસ્ત, ઉર્જા અને ગંભીરતા સાથે શિક્ષણ મેળવી માતાપિતાના સપના સાકાર કરવા અને ગામ, રાજ્ય, દેશની પ્રગતિમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
તેમણે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. ઉચ્ચ ગુણાંક મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. ઉપસ્થિત સૌએ માર્ગ સલામતી, ટ્રાફિકના નિયમોનું પાલન કરવા શપથ ગ્રહણ કર્યા હતા.
આ પ્રસંગે મદદનીશ વનસંરક્ષક એચ.સી. જાદવ, આર.એફ.ઓ. મનિષા પરમાર, આઝાદદિન કેળવણી મંડળના પ્રમુખ ભગવતીભાઈ પટેલ, આચાર્ય જયેશ પટેલ,અગ્રણીઓ કુલદીપસિંહ, બ્રિજેશ પટેલ, શિક્ષકો, વાલીઓ-ગ્રામજનો અને પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે