ગીર સોમનાથ 29 જૂન (હિ.સ.) જિલ્લામાં ત્રિ દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રવેશોત્સવ દરમિયાન શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાની સહ્રદયતા અને ઋજુતા જોવા મળી હતી. જેમાં મંત્રીએ વિદ્યાર્થીઓ પ્રત્યે વ્હાલપ વરસાવી હતી.
પ્રવેશોત્સવના અંતિમ દિવસે મંત્રએ ગીરગઢડા તાલુકાના ફરેડાની પી.એમ. પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેમણે વિદ્યાર્થીઓ સાથે એક જ પાટલી પર બેસી સંવાદ કર્યો હતો.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ 'સાદ કરે છે.... દિલ હરે છે....' કાવ્ય યાદ કરી વિદ્યાર્થીઓ સાથે કઈ કવિતા ગમે છે? ક્યો પાઠ ગમે છે? ક્યા વિષયો ગમે છે? ભણવામાં શું પસંદ છે? મોટા થઈ શું બનવું છે? જેવો સહજ વાર્તાલાપ કર્યો હતો.
આ જ રીતે નમ્રભાવે મંત્રીશ્રીએ એન્કરિંગ અને સ્વાગત-સત્કાર કરનાર બાળાઓને ખાસ સુરતથી લાવેલી બાંધણી ભેટ આપી હતી. જેથી તમામ માટે આ ક્ષણ એક સુખદ સ્મરણ બની હતી.
'જેમ પાણી વિના અનાજ ઉગી ન શકે તેવી જ રીતે નમ્રતા વિના શિક્ષણ ફળદાયી નથી. ઉત્તમ વ્યક્તિનું મુખ્ય લક્ષણ તેની નમ્રતા છે' આ વાક્ય અનુસાર શિક્ષણ રાજ્યમંત્રીની નમ્રતા, ઋજુતા અને સરળતા વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો અને ઉપસ્થિત સર્વેને પણ સ્પર્શી ગઈ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ