જૂનાગઢ 29 જૂન (હિ.સ.) રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાના સરદાર પટેલ સભાખંડ ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત અર્બન ડેવલપમેન્ટ યર- ૨૦૨૫ ની સાર્વત્રિક ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ શહેરના વિવિધ વિસ્તારોના રુ.૬૧ કરોડથી વધુના વિકાસ કાર્યોના ઈ- લોકાર્પણ તથા ઈ- ખાતમુહૂર્ત, સીધી અને પારદર્શક ભરતી પ્રક્રિયાથી નિમણુંક પામેલા ઉમેદવારોને નિમણુંક હુકમ વિતરણ અને વોર્ડ વાઈઝ શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરી રહેલા સફાઈ મિત્રોને પ્રોત્સાહનરૂપી ચેક વિતરણ કરવામાં આવ્યાં હતા.
રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જૂનાગઢ શહેરના રૂ.૬૧ કરોડના વિવિધ વિકાસ કાર્યોના ઈ- લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતા જણાવ્યું કે, યશસ્વી વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સને- ૨૦૦૫ થી શહેરી વિકાસ માટે શરુ કરેલ યોજનાઓને આ વર્ષે ૨૦ વર્ષ પૂર્ણ થતા ૨૦૨૫ ને ગુજરાત શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું હોવાથી શહેરી વિકાસ વિભાગનું બજેટ આશરે ૪૦% વધારીને રૂ.૩૦, ૩૨૫ કરોડ જેવી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. જેથી ગુજરાત રાજ્યના શહેરોના આંતર માળખાકીય વિકાસને નવી ઉંચાઈ મળશે. મિશન અમૃત ૨.૦ હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોના વિકાસ, પરિવહન વ્યવસ્થા વગેરે માટે રૂ.૧૯૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
જૂનાગઢ મહાનગરમાં પણ અમૃત મિશન હેઠળ કુલ રુ.પપ૦ કરોડના પ્રોજેકટસ પ્રગતિ હેઠળ છે. જેમાં સમગ્ર શહેરમાં ભૂગર્ભ ગટરનું માળખું સુદ્રઢ થઈ રહયું છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરના તમામ ઘરોમાં પીવાના પાણીની સુવિધાનો ડી.આઈ.પાઈપ લાઈન નાંખી નવીનીકરણ કરવામાં આવી રહયું છે. જેનો જૂનાગઢ મહાનગરના અંદાજે ૪ લાખ લોકોને નજીકના સમયમાં લાભ મળનાર છે. આ ઉપરાંત વાઘેશ્વરી તળાવનું નવીનીકરણ પુર્ણ થતા ભવનાથ અને ઉપરકોટની મુલાકાત લેનાર પ્રવાસીઓને નવું નઝરાણું મળશે.
પ્રભારી મંત્રીએ વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) ૨.૦ હેઠળ શહેરી આવાસ પૂરા પાડવા માટે રૂ. ૧૩૫૦ કરોડની જોગવાઈ છે. જે અન્વયે હાલમાં જૂનાગઢ મહાનગરપાલિકા અંતર્ગત ૧૦૩- આવાસો માટે અંદાજિત રકમ રૂ.૪.૧૨ કરોડની મંજુરી મળતા ૧૦૩ પરિવારોને પોતાની છત મળશે. હાલમાં દોલતપરા ફાયર સ્ટેશનનું કામ હાલ પ્રગતિમાં છે. આ ઉપરાંત ઝાંઝરડા ફાયર સ્ટેશનનું રૂ.૭.૩૭ કરોડનું ખાતમુહૂર્ત થશે. તેમજ એક અન્ય ફાયર સ્ટેશનનુ રૂ.૪.૫૧ કરોડ ખર્ચે કામ થશે. આ ઉપરાંત ફાયરના અંદાજે રકમ રૂ.૪૦ કરોડના કુલ ૧૬ સાધનો ખરીદીની પ્રક્રિયામાં છે. જે મળતા જૂનાગઢની ફાયર અને ઈમરજન્સી સર્વિસ સુદ્રઢ બનશે.
જૂનાગઢ મ્યુનિસિપલ કમિશ્નર તેજસભાઈ પરમારે શાબ્દિક સ્વાગત અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ તકે લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ૨૦ વર્ષની શહેરી વિકાસ યાત્રાની ડોકયુમેન્ટરી ફિલ્મનું નિર્દશન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ શહેરના છેલ્લા ૨૦ વર્ષની વિકાસની યાત્રા દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત સમગ્ર વર્ષ દરમિયાન જૂનાગઢ શહેરમાં વોર્ડ વાઈઝ શ્રેષ્ઠ સફાઈ કામગીરી સબબ શ્રેષ્ઠ સફાઈ કર્મચારી એવોર્ડ અન્વયે પ્રત્યેક સફાઈ કામદારને રુ.૧૦ હજારનો પ્રતિકાત્મક પુરસ્કાર ચેક મંચસ્થ મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢ મહાનગરપાલિકામાં સીધી ભરતીથી નિમણૂક પામેલા અલગ અલગ ૨૧ કેડરના સિલેક્ટ થયેલા ૧૬૨ કર્મચારીઓને નિમણૂંક આદેશ પણ અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે આભાર વિધિ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરઝાપડાએ કરી હતી.
આ તકે મેયર ધર્મેશભાઈ પોશીયા, સાંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિના ચેર પર્સન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશ અજવાણી, કોર્પોરેટરશ્રીઓ, પૂર્વ સદસ્યઓ, સતા પક્ષના વિવિધ કાર્યકર્તાઓ સહિતના પદાધિકારીગણ અને સંલગ્ન વિભાગના અધિકારીગણ, સફાઈ કર્મચારીઓ, વિવિધ શાખાના સ્ટાફ મિત્રો અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ