સુરત, 29 જૂન (હિ.સ.)-રાજ્યવ્યાપી ત્રિદિવસીય 'શાળા પ્રવેશોત્સવ' અંતર્ગત સુરત જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી, માંગરોળ BRC બ્લોક, માંગરોળ પોલીસ સ્ટેશન અને એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલના સંયુક્ત ઉપક્રમે વાંકલ એન.ડી.દેસાઈ હાઇસ્કૂલમાં ધો.9 ની 161 અને ધો.11 ની 323 વિદ્યાર્થિનીઓને શાળાપ્રવેશ કરાવી નામાંકન કરાવવામાં આવ્યું હતું. સુરત સ્પેશયલ બ્રાંચના નાયબ પોલીસ કમિશનર હેતલબેન પટેલ અને મહાનુભાવોએ વિદ્યાર્થિનીઓને સ્કુલબેગ, નોટબુક, પાઠ્યપુસ્તકો, ચોકલેટ સહિતની શૈક્ષણિક કીટ આપી આવકાર્યાં હતા.
નાયબ પોલીસ કમિશનર હેતલબેન પટેલે જીવનમાં લક્ષ્યનું મહત્વ સમજાવી પોતાની IPS અધિકારી બનવા સુધીની સંઘર્ષમય સફર વર્ણવી હતી. તેમણે કહ્યું કે, જીવનમાં દરેક તબક્કે સફળતા મેળવવી હોય તો સખ્ત મહેનત જરૂરી છે. મહેનત વિના સફળતા એક સ્વપ્ન છે. સકારાત્મક વિચારથી જીવનમાં પ્રકાશ આવે છે. જો નિરાશ થશો અને પ્રયાસ કરવાનું બંધ કરશો, તો તમે નિષ્ફળ થશો. ઘણી બધી નિષ્ફળતાઓ અને એ નિષ્ફળતાના અનુભવોમાંથી જ નવું શીખીને આપણે સફળતાના શિખરો સર કરી શકીએ છીએ.
શિક્ષણ નિરીક્ષક ડૉ.સંગીતાબેન મિસ્ત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શરૂ કરેલી શાળા પ્રવેશોત્સવની પરંપરાને રાજ્ય સરકારે પણ જાળવી રાખી વેગવંતી બનાવી છે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અભિયાનના પરિણામે શાળાઓમાં કન્યા શિક્ષણનો ગ્રાફ ખૂબ જ ઊંચે ગયો છે. તેમણે ભણીગણીને ઉચ્ચ જીવન ઘડતર સાથે દેશની વિકાસયાત્રામાં યોગદાન આપવા વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા.
મહાનુભાવોએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે શિક્ષણ નિરીક્ષક ડૉ.સંગીતાબેન મિસ્ત્રી, માંગરોળ પોલીસ ઇન્સ્પેકટર સોલંકી, લાયઝન ઓફિસર હંસપ્યારીબેન વાઘેલા, વાંકલ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ સંજયભાઇ દેસાઈ, મંત્રી હરેશ મોદી તેમજ ટ્રસ્ટીઓ અશ્વિન શાહ, પ્રવીણ દેસાઈ, વાંકલ આઉટ પો.સ્ટે.ના જમાદાર આનંદભાઈ, આચાર્ય પારસ મોદી સહિત શાળાના આચાર્ય-શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને પ્રવેશ મેળવનાર વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે