વલસાડ, 29 જૂન (હિ.સ.)- રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ
મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઘાણવેરી ખાતે 66 કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, પહેલા લોકો કહેતા હતા કે, રાત્રે જમતી વેળા વીજળી
આપો અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ સુકાન સંભાળ્યુ અને જ્યોતિગ્રામ
યોજના શરૂ કરી હતી, હવે લોકોને 24 કલાક વીજળી મળી રહે છે. આજે અહીં ઘાણવેરી ગામમાં રૂ. 16 કરોડ ૬૯
લાખના ખર્ચે 66 કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેથી આસપાસના ગામોને
ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળતો રહેશે. એક વર્ષમાં આ સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત
કર્યું અને લોકાર્પણ પણ કરી દીધુ છે, સમય કરતાં વહેલું કામ પૂર્ણ કરી ગ્રામજનોને સુવિધા ઉપલબ્ધ
કરાવી છે. કપરાડામાં હવે વીજળીનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોના
પ્રશ્નો સાંભળી તેઓની સુખાકારી અને પ્રજાના કલ્યાણ માટે કાર્યો કરશે તો ચોક્કસ વિકાસ
થાય છે જેનું ઉદાહરણ આપ સૌની સમક્ષ છે. ઝીરો કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંક માટે કોલસામાંથી
વીજળી ઉત્પન્ન કરવાને બદલે સોલાર અને પવન ચક્કીથી વીજળી ઉત્પાદન કરવાની શરૂઆત કરી છે.
જેમાં ગુજરાત દેશમાં ટોચ પર છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી
નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ગામમાં રસ્તા, પાણી, લાઈબ્રેરી, આરોગ્ય કેન્દ્ર અને વીજળી
સહિતના વિકાસ કાર્યો પુરજોશમાં ચાલી રહ્યા છે જેનો લાભ છેવાડાના લોકોને મળી રહ્યો છે.
કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું કે, લોકોને વહેલી તકે વીજળી મળે તે માટે આજે વરસતા વરસાદમાં પણ કામ
પૂર્ણ કર્યું છે. હવે નાંદગામ ગામમાં પણ સબ સ્ટેશન બનવા જઇ રહ્યું છે. આ સિવાય રસ્તા, ચેકડેમ, ઇરીગેશન, પાણી અને વીજળીના કામો
થઈ રહ્યા છે. આપણે સૌ સાથે મળી વિકાસના કામો કરતા રહીશું. આપણી જે પણ જરૂરિયાત છે તે
તમામ સુવિધા સરકાર ઉપલબ્ધ કરાવી રહી છે.
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન
કોર્પોરેશન લિમિટેડ (જેટકો)ના મેનેજિંગ ડિરેકટર ઉપેન્દ્ર પાંડેએ જણાવ્યું કે, આ સબ સ્ટેશન 4900 ચો.મી.
જગ્યા પર નિર્માણ પામ્યું છે. જેનાથી આ સબ સ્ટેશનની આજુબાજુના 8 કી. મી. વિસ્તારમાં
આવેલા 15 ગામના કુલ ૧૫૪૯૬ લોકોને વિક્ષેપ રહિત વીજળી પૂરતા દબાણથી પુરી પાડી શકાશે.
આ સબ સ્ટેશન રાજ્ય સરકારની ટી.એ.એસ.પી. ગ્રાન્ટ હેઠળ મૂડી રોકાણના વળતરને ધ્યાનમાં
લીધા સિવાય માત્ર આ વિસ્તારમાં રહેતી જનતાના વિકાસાર્થે ઉભું કરવામાં આવ્યું છે. હાલ
વલસાડ જિલ્લામાં કુલ 69 સબ સ્ટેશન કાર્યાન્વિત છે. છેલ્લા પાંચ વર્ષમાં 24 નવા સબ સ્ટેશન
કાર્યાન્વિત કરાયા છે. હવે વર્ષ 2025-26 માં વધુ 9 અને 2026-27 માં નવા 3 સબ સ્ટેશનનું
આયોજન છે. રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વમાં જેટકો સમગ્ર દેશમાં
સર્વ શ્રેષ્ઠ ટ્રાન્સમિશન કંપની તરીકે ઉભરી આવી છે.
આ પ્રસંગે બરોડા જેટકોના
ચીફ એન્જીનીયર એ.બી.રાઠોડ, સ્થાનિક આગેવાન સીતારામ ચૌધરી, મોહનભાઇ ગરેલ, સરપંચ ભરતભાઈ સિંઘાડ, ફુલજીભાઈ, વીઆઈએ પ્રમુખ સતિષભાઈ
પટેલ, વાપી શહેર સંગઠન મનીષ
દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે