પોરબંદર, 29 જૂન (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો બીજા દિવસે પોરબંદર જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરીએ ઉંટડા, મોચા , નવીબંદર ગામની શાળાઓમાં બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે કોઈપણ બાળક અભ્યાસથી વંચિત ન રહી જાય તે માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે તેમજ શાળામાં પ્રવેશ કરનાર બાળકનું શિક્ષણ સાથે સારા સંસ્કાર સિંચન થાય તે આપણા બધાની જવાબદારી છે. સરકાર દ્વારા સરકારી શાળામાં તમામ સુવિધા આપવામાં આવી છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે બાળકોમાં રહેલી સ્કીલને ઓળખીને તેને સફળતા અપાવવા માટે પ્રોત્સાહિત કરવાથી તેમના ક્ષેત્રમાં વધુ આગળ વધી શકે છે. તેમજ બેટી બચાવો બેટી પઢાવો અભિયાનની અને દીકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે માટે સમજ આપી હતી અને પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા અને પર્યાવરણ સંરક્ષણ માટેની બાળકોને જાણકારી આપી હતી તથા બાળકોને વૃક્ષારોપણ કરવા અપીલ કરી હતી ઉલ્લેખનીય છે કે ઉંટડા પ્રાથમીક શાળા ખાતેથી 7 આંગણવાડી, 16 બાળવાટિકામાં અને ધો.1 માં 15
બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો તેમજ મોચા ભાણસરા સિમશાળા ખાતે 3 આંગણવાડીમાં 6 બાળવાટિકામાં અને ધો.1 માં 7 બાળકો અને નવીબંદર પ્રા.શાળા ખાતે 37 આંગણવાડી,18 બાળવાટિકામાં અને ધો.1માં 16 બાળકોને પ્રવેશ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય શાળામાં પ્રવેશ કરનાર બાળકોને કીટ આપવામાં આવી હતી તેમજ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ઠ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સાથે બેઠક કરી હતી અને શિક્ષણને લગતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. આ તકે ઉંટડા સરપંચ જીવાભાઈ ચુડાસમા, આચાર્ય ,સીઆરસી ઇરફાન અમરેલીયા સહિતના સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો,બાળકો, વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya