જૂનાગઢ 3 જૂન (હિ.સ.) વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર ડો. હીરાલાલ અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને ચૂંટણીલક્ષી કામગીરીના નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરવાની સાથે વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીમાં જન ભાગીદારીના અનુસંધાને જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં ઓબ્ઝર્વરએ ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ અને ન્યાયી રીતે થાય તે માટે પણ જરૂરી માર્ગદર્શન કર્યું હતું. તેમણે ચૂંટણીલક્ષી કામગીરી અને પૂર્વ તૈયારીઓ અંગે સંતોષ પણ વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં મતદાન જાગૃતિ માટે રચનાત્મક અભિગમ સાથે જુદા જુદા કાર્યક્રમ યોજવામાં આવશે. મતદાનની સાથે પ્રકૃતિ પર્યાવરણના સંરક્ષણ માટે પણ લોકોમાં જાગૃતિ કેળવાય તેવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવશે. આ બેઠકમાં ચૂંટણીલક્ષી કામગીરીના નોડલ અધિકારી ઉપરાંત સંલગ્ન અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ