ગાંધીનગર, 3 જૂન (હિ.સ.) : વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાની સુખાકારી માટે અનેકવિધ પ્રયાસો અને કામગીરી થતી રહે છે, પરંતુ આ જન સુખાકારી માટે થયેલ કામગીરીનું અમલીકરણ થાય છે કે કેમ, જનતા માટે કરવામાં આવેલ સુવિધાઓ તેમના સુધી પહોંચે છે કે નહીં, અને એકવાર શરૂ થયેલ કોઈ પણ સુખાકારીનું કે, સુવિધાનું કાર્ય સંતોષકારક રીતે ચાલતું રહે તે માટે પ્રજાના સેવક તરીકે કલેક્ટર ગાંધીનગર હંમેશા ગ્રાઉન્ડ લેવલે કામગીરી કરતા આકસ્મિક ચેકિંગ અને નગરજનો સાથે વાર્તાલાપ દ્વારા વહીવટી તંત્રની કામગીરીની સમીક્ષા કરતા રહે છે, અને જરૂર જણાય તો બદલાવ પણ કરે છે.
કલેકટર ગાંધીનગર, મેહુલ કે. દવેના જનસેવા અને જન સુખાકારીના ધ્યેયને, પરિપૂર્ણ કરતું તેમનું સ્વપ્ન કલોલ ખાતે આજે આધુનિક જનસેવા કેન્દ્રમાં મૂર્તિમંત થયું છે, ત્યારે કલેકટર એ ગાંધીનગર જિલ્લાના તાલુકા સેવા સદન કલોલ ખાતે ટૂંક સમય પહેલા લોકાર્પણ થયેલ નવીન જનસેવા કેન્દ્રની આધુનિક આંતર માળખાકીય સુવિધાઓથી અરજદારોની સુખાકારી અને સવલતોમાં હકીકતે ઉમેરો થયેલ છે કે કેમ, એની ચકાસણી કરવા સારું તા. 03/06/2025ના રોજ જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી.
આ મુલાકાત અંતર્ગત અરજદારો, બહેનો, માતાઓ, વડીલો સાથે સીધો સંવાદ કરી તેમના પ્રતિભાવો જાણ્યા અને સર્વેજના સેવાભીલાષી મંત્રને મૂર્તિમંત થતો જોઈ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. સાથે જ કલોલ જન સેવા કેન્દ્રના દરેક કર્મચારી/અધિકારીઓને જનસેવા એ જ પ્રભુસેવાનો સંદેશ આપી પ્રોત્સાહીત કર્યા હતા. જનસેવા કેન્દ્ર વહીવટી તંત્રની કચેરીઓમાં હૃદય સ્થાને હોઈ નિયમિત સતત દેખરેખ રાખવા સૂચના પણ આપી. આ મુલાકાત દરમિયાન કલોલ પ્રાંત મયંક પટેલ પણ કલેકટર સાથે જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ