અમદાવાદ, 7 જૂન (હિ.સ.)- ગુજરાતમાં કોરોનાના કેસોમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 170 નવા કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 717 સુધી પહોંચી છે. એમાંથી 694 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે અને માત્ર 23 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડતી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. ગત 24 કલાકમાં 68 દર્દીઓ સાજા થયા છે, જ્યારે કોઈ મૃત્યુ નોંધાયું નથી.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાત સહિત 4થી 5 રાજ્યોમાં કેસમાં વધારો થયો છે. તેમનો દાવો છે કે ઓમિક્રોન કોવિડ-19 પરિવારનો જ એક વર્ઝન છે અને હાલ રાજ્ય સરકાર તમામ મજબૂત તૈયારી સાથે હાલતને સંભાળી રહી છે. ઓક્સિજન ટેન્કોની મોક ડ્રિલ પણ આ તૈયારીનો એક ભાગ છે.
આ મોહલે આરોગ્ય મંત્રીએ લોકોને ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને શ્વસન તકલીફથી પીડાતા નાગરિકોને ભીડભાડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અનુરોધ કર્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે WHO અનુસાર હાલનો સ્ટ્રેન ગંભીર નથી, તેમ છતાં રાજ્ય સરકાર તેને પૂરતી ગંભીરતાથી લઈ રહી છે.
રાજ્યમાં કોરોનાની હાલની સ્થિતિ:
એક્ટિવ કેસ: 717
હોમ આઇસોલેશનમાં: 694
હોસ્પિટલમાં દાખલ: 23
તાજેતરમાં સાજા થયેલા દર્દી: 68
કુલ મૃત્યુ (છેલ્લા 24 કલાકમાં): 0
29મી મેના રોજ રાજ્યમાં માત્ર 223 એક્ટિવ કેસ હતા. હવે માત્ર એક અઠવાડિયામાં તેમાં 300% જેટલો વધારો નોંધાયો છે.
કેરળ: 1679 કેસ સાથે પ્રથમ
ગુજરાત: 717 કેસ સાથે બીજા
પશ્ચિમ બંગાળ: 596 કેસ સાથે ત્રીજા સ્થાને
છેલ્લા એક મહિનામાં અમદાવાદ શહેરમાં 559 નવા કેસ સામે આવ્યા છે અને 183 દર્દી સાજા થયા છે. હાલમાં અહીં 374 દર્દીઓ સારવાર હેઠળ છે. આ દરમિયાન બે દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
JN.1, LF.7, LF.7.9 અને XF.G જેવા વેરિયન્ટ્સ જીબીઆરસી-ગાંધીનગર ખાતેના પરીક્ષણમાં સામે આવ્યા છે.
રાજ્ય સરકાર ભલે એ કહે છે કે હાલના સ્ટ્રેન ગંભીર નથી, પરંતુ કોરોના ફરીથી પાંખો ખોલી રહ્યો છે. લોકો માટે જરૂરી છે કે તેઓ પહેલા જેવી જ સાવચેતી રાખે, ખાસ કરીને ખાંસી-શરદીના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે