પાટણ, 7 જૂન (હિ.સ.) : વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની નિમિત્તે મુક્તજીવન ફોરેસ્ટ પાર્ક, પ્રતાપપુરા કલોલ ખાતે “મુક્તજીવન પર્યાવરણ મિત્ર એવોર્ડ 2025”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના આરોગ્ય કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને જાગૃતિ માટે કાર્યરત 150થી વધુ વ્યક્તિત્વોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પાટણ જિલ્લાના પી.પી.જી. એક્સપેરીમેન્ટલ હાઈસ્કૂલ અને શ્રી વી.આર. પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળાના ઈ. આચાર્ય અને શિક્ષક ડૉ. ઝુઝારસંગ સોઢાને પર્યાવરણ ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ગ્રીન પ્લેનેટ અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા તેમને ECOSOC પ્રમાણિત સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું. ડૉ. સોઢાએ પર્યાવરણપ્રેમી શિક્ષકોને 100 પાણીના કુંડા અને 51 ચકલીના માળાનું વિતરણ કરી પર્યાવરણ માટે શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
કાર્યક્રમમાં સ્વામી ભગવતીપ્રિયદાસજી મહારાજ, ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ અને ગ્રીન પ્લેનેટના પ્રમુખ અહમદ પઠાણ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. સોઢાની સિદ્ધિ બદલ NGES કેમ્પસના CDO પ્રો. જય ધ્રુવ, શાળાના સુપરવાઈઝર તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર