પાટણ, 7 જૂન (હિ.સ.) પાટણ તાલુકાના કતપુર ગામના પૂર્વ તલાટી કમ મંત્રી બિપિનચંદ્રને 20 વર્ષ જૂના ઉચાપતના કેસમાં સેશન્સ કોર્ટે મોટી રાહત આપી છે. 2018માં પાટણની ટ્રાયલ કોર્ટે તેમને છ વર્ષની સાદી કેદ અને રૂપિયા 10,000 દંડની સજા ફટકારી હતી, જેને લઈને તેમણે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
બિપિનચંદ્ર 2004માં કતપુર ગામમાં તલાટી તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2005માં 12 ગ્રામજનોએ તેમને પંચાયત વેરાની રકમ અદા કરી હતી. તેમની આપેલી પાવતીઓ ડુપ્લીકેટ હોવાનું બહાર આવ્યું હતું અને કુલ રૂ. 8790ની રકમ પંચાયતના રોજમેળમાં જમા થઈ ન હતી. આ બાબતની ફરિયાદ તાલુકા વિકાસ અધિકારી આર.એસ. બારોટને કરવામાં આવી હતી.
તપાસ બાદ બિપિનચંદ્ર સામે IPC કલમ 409 હેઠળ ગુનો નોંધાયો હતો. 6 વર્ષ 9 મહિના સુધી ચાલેલી કાનૂની લડાઈ બાદ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ પ્રશાંત શેઠે તેમને શંકાનો લાભ આપીને મુક્ત કર્યા હતા. તલાટી તરફેથી વકીલ આર.એસ. વણકરે પક્ષ રજૂ કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર