પાટણ, 7 જૂન (હિ.સ.) : રાધનપુરમાં નર્મદા નિગમની રૂ. 16 કરોડની વસાહતના બાંધકામમાં કોઈનસાઈડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની દ્વારા મોટી ગેરરીતિ સામે આવી છે. કંપનીના કોન્ટ્રાક્ટર રાકેશભાઈ પ્રજાપતિએ બિલ્ડિંગ બાંધકામ માટે ખુલ્લા વીજ વાયરોમાં કેબલ નાખીને વીજ ચોરી આચરી હતી.
વીજ ચોરી ઉપરાંત કંપનીએ પાણી પુરવઠા વિભાગની એક્સપ્રેસ લાઈનમાં ગેરકાયદે કનેક્શન પણ કર્યું હતું. રાધનપુરના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી નીકળતી 600 ડીઆઈની પાઈપલાઈનમાંથી 1 કિ.મી. લંબાઈની પાઈપલાઈન નાખીને વસાહત સુધી પાણી પહોંચાડવામાં આવતું હતું. આ પાણી બાંધકામ માટે વપરાતું હતું.
પાણી પુરવઠા વિભાગની ટીમે તપાસ દરમિયાન જમીનથી 2.5 ફૂટ નીચે નર્મદાની મુખ્ય પાઈપલાઈનમાં ગેરકાયદે કનેક્શન શોધી કાઢ્યું હતું. અધિકારી અંકિત પંચાલે જણાવ્યું કે, મંજૂરી સંબંધિત કોઈ દસ્તાવેજ ન રજૂ થતાં કનેક્શન કાપી નાંખવામાં આવ્યું છે અને કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર