પાટણ, 7 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લામાં 22 જૂનના રોજ કુલ 380 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે, જેમાંથી 310 પંચાયતોની સામાન્ય અને 70 પંચાયતોની પેટા ચૂંટણી છે. શુક્રવારે સામાન્ય ચૂંટણી માટે સરપંચના 417 અને સભ્યના 693 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જ્યારે પેટા ચૂંટણી માટે સરપંચના 6 અને સભ્યના 8 ફોર્મ ભરાયા છે. અત્યાર સુધીમાં સરપંચ માટે કુલ 560 અને સભ્ય માટે 825 ફોર્મ નોંધાઈ ચૂક્યા છે.
સમી તાલુકાના કઠીવાડા ગામે યુવા આગેવાન ગોપાલજી મણાજી ઠાકોર બિનહરીફ સરપંચ તરીકે ચૂંટાયા છે. સરસ્વતી તાલુકાની સોટાવડ ગ્રામ પંચાયતમાં રાણાભાઈ જાયમલભાઈ રબારીની પણ બિનહરીફ વરણી થઈ છે. ઉલ્લેખનીય છે કે સોટાવડ ગામ 1960થી 2012 સુધી સમરસ ગ્રામ પંચાયત તરીકે ઓળખાતું રહ્યું છે.
રાધનપુરના સુલતાનપુરા ગામમાં મનુજી ઠાકોરને સતત બીજી ટર્મ માટે બિનહરીફ સરપંચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. સુલતાનપુરા અને ઓધવનગરના ગ્રામજનોએ ભાઈચારો જાળવીને શાંતિપૂર્ણ નિર્ણય લીધો છે. ભદ્રાડા ગામે એક ઐતિહાસિક નિર્ણય લઈને સરપંચ, ઉપસરપંચ અને તમામ વોર્ડ સભ્યોના પદ પર મહિલાઓની બિનહરીફ વરણી કરી છે, જે સમગ્ર પાટણ જિલ્લાની દિશા બદલી શકે તેવી ઘટના બની છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર