પાટણ, 7 જૂન (હિ.સ.) : પાટણ શહેર અને જિલ્લામાં આજે ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ) ધર્મભાવનાથી ભરેલી ભવ્યતા અને શાંતિપૂર્વક ઉજવાઈ હતી. સિદ્ધિ સરોવર નજીક આવેલી ઈદગાહ સહિત વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ કુરબાની પર્વની વિશેષ નમાઝ અદા કરી હતી. સમગ્ર શહેરમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
મૌલાના સિદ્દીક સાહેબે નમાઝ અદા કરાવી અને કુરાન શરીફના પાવન પાઠ કર્યા બાદ ઉપસ્થિત તમામ મુસ્લિમોને ઈદની મુબારકબાદી પાઠવી હતી. નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ પરસ્પર ગળે મળી ઈદ મુબારક પાઠવી હતી, જેના કારણે ભાઈચારો અને એકતા વધુ મજબૂત બની હતી.
આ પવિત્ર પ્રસંગે દેશમાં ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ કરવામાં આવી હતી અને સાથે પુલવામા આતંકી હુમલાની નિંદા પણ કરવામાં આવી હતી. સુરક્ષાની દૃષ્ટિએ ઈદગાહ તેમજ શહેરના મુસ્લિમ વિસ્તારોમાં કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આખું પાટણ શાંતિપૂર્ણ અને હર્ષભેર ઈદની ઉજવણીનો સાક્ષી બન્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર