ગાંધીનગર, 7 જૂન (હિ.સ.) : સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત ગાંધીનગર સ્થિત કડી સર્વ વિશ્વવિદ્યાલયના NSS સેલ દ્વારા ઉપરોક્ત યૂથ સમિટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. મેંગલુરુ, કર્ણાટક ખાતે આયોજિત પ્રતિષ્ઠિત ગ્લોબલ યુથ સમિટ 2025 - આંતરરાષ્ટ્રીય પરિસંવાદ 5 અને 6 જૂન દરમ્યાન યોજાયો હતો જેમાં ભારતના 20 રાજ્યો અને 15 દેશોના યુવા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
આ પ્રતિષ્ઠિત સમિટમાં કડી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગરના NSS સેલ દ્વારા ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓની સફળ ભાગીદારી બદલ યુનિવર્સિટીના પ્રસિડેન્ટ શ્રી વલ્લભભાઈ એમ. પટેલ, NSS રિજનલ ડાયરેક્ટર ડૉ. કમલકુમાર કર, યુવા અધિકારી મનનીંદરસિંહ, રીટા ડિસોઝા, તથા બી.બીએ. કોલેજના આચાર્ય ડૉ. રમાકાંત પૃષ્ટી અને બી.કોમ. કોલેજના આચાર્ય ડૉ. વિજ્ઞા ઓઝા દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંકલન NSS યુનિવર્સિટી પ્રોગ્રામ કો ઓર્ડિનેટર ધર્મેન્દ્રસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું.
સમિટનો ઉદ્ઘાટન સમારંભ 4 જૂન, 2025ના રોજ યોજાયો હતો. ગુજરાત તરફથી પ્રતિનિધિત્વ કરનાર સ્વયંસેવકોમાં શ્રુષ્ટી ગરાલા, પલક પટેલ, મિતરાજસિંહ ઝાલા, શુકન પટેલ અને યશરાજસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. તેઓ યુનિવર્સિટીની ગાંધીનગર સ્થિત બી.બીએ અને બી.કોમ. કોલેજના વિદ્યાર્થીઓ છે. આ સમિટનું આયોજન કર્ણાટક રાજ્યના યુવા સશક્તિકરણ અને રમતગમત વિભાગના સ્ટેટ NSS સેલ દ્વારા યેનપોયા યુનિવર્સિટી સાથે સહયોગથી 4 થી 6 જૂન 2025 દરમિયાન યેનડ્યુરન્સ ઝોન, મેંગલોર ખાતે કરવામાં આવ્યું હતું.
મુખ્યઅતિથિ દિનેશ ગુંડુ રાવ, આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી, કર્ણાટક સરકારે પોતાના ઉદ્ઘાટન ભાષણમાં યુવાનોને સામાજિક પડકારો જેવી કે પર્યાવરણ, નાગરિક હકો, માનવ અધિકાર, ટ્રાન્સજેન્ડર હકો અને મહિલાઓના અધિકાર વિષયક વિચારશીલ ભાગીદારી માટે પ્રેરણા આપી હતી. તેમણે કહ્યું, “યુવાનો એ વૈશ્વિક શક્તિ છે અને સમાજ પરિવર્તન માટે મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.”અન્ય મહાનુભાવોમાં કર્ણાટક રાજ્યના NSS અધિકારી ડૉ. પ્રથાપ લિંગઇયાં, યેનપોયા યુનિવર્સિટીના ચાન્સેલર ડૉ. અબ્દુલ્લા કુન્હી, યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. એમ. વિજયકુમાર, યુવા અને રમતગમતના પૂર્વમંત્રી અભયચંદ્ર જૈન, મમથા ગટ્ટી, સદાશિવ ઉલ્લાલ, અને જિલ્લા આરોગ્ય અધિકારી તિમ્મૈયાનો સમાવેશ થાય છે. સમાપન સમારંભ 6 જૂને યોજાયો હતો. તેમાં મંગલોર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પી. એલ. ધર્માએ જણાવ્યું કે શિસ્ત, ધીરજ અને સહનશીલતા દ્વારા વ્યક્તિ શ્રેષ્ઠતા હાંસલ કરી શકે છે. તેમણે વિદ્યાર્થીઓને ઉન્નત મૂલ્યો અને આદર્શોને વિકસાવવા માટે પ્રેરણા આપી.
આ સમિટમાં 8 મુખ્ય વક્તવ્ય, 3 પેનલ ચર્ચાઓ, તથા 650થી વધુ રાષ્ટ્રીય યુવા પ્રતિનિધિઓ અને 15 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સ્વયંસેવકો એ યુનિવર્સિટી નો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમને આવા આંતરાષ્ટ્રીય મંચ પર પોતાના વિચારો રજૂ કરવાનો અને શ્રેષ્ઠ વક્તાઓ પાસેથી જ્ઞાન મેળવવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો હતો. અને આવા કાર્યક્રમો માં વધુ ભાગીદારી માટે તત્પરતા દાખવી હતી.
આ સમગ્ર આયોજન માટે કર્ણાટક NSS સેલ અને યેનપોયા યુનિવર્સિટીનો સમર્પિત સહયોગ મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ