જૂનાગઢ 7 જૂન (હિ.સ.) ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતમાં તા.૧૯ જૂન, ૨૦૨૫ના રોજ ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ તેમજ કડી અને વિસાવદર વિધાનસભા મતક્ષેત્રમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના ૪૮ કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ રહેશે.
આ જાહેરનામા અનુસાર લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૧૨૬(ક) ની પેટાકલમ (૧)થી મળેલી સત્તાનો ઉપયોગ કરી પેટાકલમ (૨) ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી સંદર્ભે તા.૧૯.૦૬.૨૦૨૫ ને ગુરૂવારના સવારે ૦૭:૦૦ વાગ્યાથી સાંજના ૦૬:૩૦ વાગ્યા દરમિયાનના સમયગાળામાં પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના ‘ઍક્ઝિટ પોલ’ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે. સાથે જ અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જોગવાઈઓનો ભંગ કરનારને ૦૨ વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે.
આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર ‘ઓપિનિયન પોલ’ સંદર્ભે, કડી તથા વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીનો મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે સમય પૂર્વેના ૪૮ કલાક દરમિયાન કોઈપણ ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ ‘ઓપિનિયન પોલ’ કે અન્ય મતદાન સર્વેક્ષણના પરિણામો સહિત ચૂંટણી સંબંધી કોઈપણ પ્રકારનું સર્વેક્ષણ પ્રદર્શિત કરી શકશે નહીં.
.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ