ગાંધીનગર, 7 જૂન (હિ.સ.) : અમદાવાદ શહેરના તમામ રેશન કાર્ડ ધારકોના લાભાર્થે, અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસ (GPO), મિરઝાપુર ખાતે એક દિવસીય વિશેષ રેશન કાર્ડ e-KYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ જાહેર જનતાની સુવિધા માટે ખાસ આજે રવિવાર, તારીખ 8 જૂન, 2025 ના રોજ યોજાશે.
સરકારના નિયમો મુજબ, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મળતા અનાજ અને અન્ય લાભોને નિરંતર ચાલુ રાખવા માટે તમામ લાભાર્થીઓએ તેમના રેશન કાર્ડનું e-KYC (ઈલેક્ટ્રોનિક નો યોર કસ્ટમર) કરાવવું ફરજિયાત છે. જે નાગરિકો આ પ્રક્રિયા પૂર્ણ કરવામાંથી બાકી છે, તેમના માટે આ કેમ્પ એક સુવર્ણ તક છે. આ કેમ્પ સવારે 08 વાગ્યાથી રાત્રે 08 વાગ્યા સુધી ચાલશે, જેથી નાગરિકો પોતાની અનુકૂળતાએ તેનો લાભ લઈ શકે.
e-KYC ની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે, લાભાર્થીઓએ કેટલાક જરૂરી દસ્તાવેજો સાથે લાવવાના રહેશે. આ દસ્તાવેજોમાં તેમનું રેશન કાર્ડ, આધાર કાર્ડ, અને આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઇલ નંબર શામેલ છે. OTP મેળવવા માટે આધાર લિંક મોબાઇલ નંબર અનિવાર્ય હોવાથી, તે સાથે લાવવો ખાસ જરૂરી છે. આ દસ્તાવેજો વિના e-KYC ની પ્રક્રિયા શક્ય બનશે નહીં, આથી સૌને તે સાથે રાખવા ભારપૂર્વક જણાવવામાં આવે છે.
રવિવારની રજાના દિવસે આયોજિત આ કેમ્પનો લાભ લેવા માટે અમદાવાદ જનરલ પોસ્ટ ઓફિસ દ્વારા તમામ બાકી રહેલા રેશન કાર્ડ ધારકોને અપીલ કરવામાં આવે છે. સૌ કોઈ આ તકનો લાભ લઈ પોતાનું e-KYC અવશ્ય પૂર્ણ કરાવે, જેથી ભવિષ્યમાં તેમના મળવાપાત્ર લાભોમાં કોઈ અડચણ ન આવે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ