-ગેસ લાગવાની જાણ થતા તાત્કાલિક અંકલેશ્વર હોસ્પિટલમાં ખસેડાયા, પરંતુ મૃત્યુ થઈ ગયું
-જરૂરી સુરક્ષા સાધનોનો અભાવ અને તાત્કાલિક પ્રાથમિક સારવાર નહીં મળતા અસર વધી ગઈ
-કંપનીમાં રીએક્ટરના મેન્ટેનન્સની કામગીરી ચાલતી હતી ત્યારે ગેસ લાગવાની ઘટના બની હતી
ભરૂચ 07 જૂન ( હિ. સ ) પાનોલી જીઆઇડીસીમાં હજુ સ્ટરલાઈટ ઓર્ગેનિક કંપનીમાં આગ લાગવાના બનાવની શાહી સુકાય નથી ત્યાં ટૂંક જ સમયમાં ફરી મંગલમૂર્તિ કંપનીમાં મેન્ટેનન્સની કામગીરીના સમયે બે કામદારોને ગેસની અસર થતા તાત્કાલિક અંકલેશ્વર ખાતે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પરંતુ તપાસ કરતા બંનેના મૃત્યુ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. બનાવને લઈ બંને મૃતકના પરિવારજનોએ હોસ્પિટલે આવી અંતિમવિધિની પ્રક્રિયા કર્યા બાદ વળતરની માંગણી કરી હતી.
ધામરોડ મંગલમૂર્તિ કંપનીમાં રીએક્ટરના મેન્ટેનન્સની કામગીરી દરમિયાન કામદારોને ગેસ લાગવાની ઘટના બની હતી.બે કામદારોને ગેસની અસર થતા સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.વધુ સારવાર મળે તે પહેલાં જ બંને કામદારોના મોત નીપજ્યા હતા.
આ ઘટનામાં ગેસ લાગવાથી બે કામદારોના મોત થયા છે.મૃતકોના નામ રાજન શર્મા અને રાજન સિંગ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.આ ઘટનાની જાણ થતા મૃતકના પરિવારજનો જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા .ગેસ લાગવાની ઘટનામાં બે કામદારોના મૃત્યુ થતા બનાવની યોગ્ય તપાસ પોલીસ, જીપીસીબી,ફેક્ટરી ઇન્પેક્ટર તેમજ જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવે તેમજ મૃતકોને વળતર મળે તે જોવું રહ્યું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ