ગાંધીનગર, 7 જૂન (હિ.સ.) : આજે 7 જૂન, વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ છે. અમદાવાદ શહેર અને જિલ્લાના પુરવઠા તંત્રની નાગરિકોને સલામત, પોષણક્ષમ અને પૂરતું અનાજ પૂરું પાડવાની પ્રતિબદ્ધતાને કારણે 25.81 લાખ નાગરિકો સુધી સરકારી ધારાધોરણો મુજબનું ગુણવત્તાયુક્ત અનાજ પહોંચી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી નીતિઓ અને તેના કાર્યક્ષમ અમલીકરણને પરિણામે અમદાવાદ જિલ્લો ખાદ્ય સુરક્ષા અને સલામતીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યો છે.
અમદાવાદ શહેર અને ગ્રામ્ય જિલ્લામાં ખાદ્ય વિતરણનું એક વિસ્તૃત અને સુવ્યવસ્થિત માળખું કાર્યરત છે. નિયંત્રકશ્રી, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી અંતર્ગત શહેરી વિસ્તારમાં 15 ઝોનમાં કુલ 868 અને ગ્રામ્ય વિસ્તારમાં 10 તાલુકાઓમાં 464 વાજબી ભાવની દુકાનો આવેલી છે.
આમ, સમગ્ર અમદાવાદ જિલ્લામાં 1332 વાજબી ભાવની દુકાનોના નેટવર્ક દ્વારા લાખો નાગરિકો સુધી સરકારી ધારાધોરણો મુજબનું ગુણવત્તાયુક્ત અનાજ પહોંચાડવામાં આવી રહ્યું છે, જે ખાદ્ય સલામતીનું આગવું ઉદાહરણ છે.
કોવિડ-19 મહામારીના કપરા કાળમાં શરૂ થયેલી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) એ સાચા અર્થમાં દેશના કરોડો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ યોજનાએ ખાદ્ય સુરક્ષાને એક નવા શિખરે પહોંચાડી છે.
રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013 (NFSA) હેઠળ આવરી લેવાયેલા અમદાવાદ શહેરના 375852 કાર્ડધારકોના 1805853 સભ્યો અને અમદાવાદ ગ્રામ્યના 189095 કાર્ડધારકોના 775803 સભ્યોને આ યોજનાનો સીધો લાભ મળી રહ્યો છે.
આમ, સમગ્ર અમદાવાદ જિલ્લામાં 25.81 લાખથી વધુ નાગરિકોને નિયમિત, નિ:શુલ્ક અનાજ પૂરું પાડીને તેમની ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ યોજનાએ માત્ર લોકોની ભૂખ જ નથી સંતોષી, પરંતુ વિષમ પરિસ્થિતિમાં પણ તેમને અન્ન સુરક્ષા આપી છે. આનાથી કુપોષણ જેવી સમસ્યાઓ અટકાવવામાં પણ મોટી મદદ મળી છે, જે ખાદ્ય સલામતીનું એક મહત્ત્વપૂર્ણ પાસું છે.
સરકાર દ્વારા સંગ્રહિત અને વિતરિત થતું અનાજ નિર્ધારિત ગુણવત્તાના માપદંડોમાંથી પસાર થાય છે. આનાથી નાગરિકોને ભેળસેળવાળા કે નિમ્નસ્તરીય ગુણવત્તાવાળા અનાજથી રક્ષણ મળે છે. 'વન નેશન, વન રાશન કાર્ડ' અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જેવી ટેકનોલોજીના ઉપયોગથી યોગ્ય લાભાર્થી સુધી જ અનાજ પહોંચે છે, જે સમગ્ર સપ્લાય ચેઇનમાં પારદર્શકતા અને સલામતી લાવે છે. જિલ્લાના ખૂણેખૂણામાં ફેલાયેલી વાજબી ભાવની દુકાનો એ સુનિશ્ચિત કરે છે કે અંતરિયાળ વિસ્તારના નાગરિકને પણ સલામત અનાજ સરળતાથી મળી રહે.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, જેનો મુખ્ય હેતુ પરિવારોને સ્વચ્છ રસોઈ ઇંધણ પૂરું પાડવાનો છે, તે પરોક્ષ રીતે પરિવારોની અન્ન સુરક્ષાને મજબૂત બનાવવામાં પણ ભૂમિકા ભજવે છે. આ યોજના હેઠળ મફત ગેસ કનેક્શન (સગડી, હોઝ, સિલિન્ડર) સાથે પ્રથમ ફ્રી રીફિલીંગ તેમજ ત્યારબાદ દર વર્ષે 2 (બે) ફ્રી ગેસ રીફિલીંગનો લાભ આપવામાં આવે છે. સમગ્ર અમદાવાદ જિલ્લામાં (શહેરી અને ગ્રામ્ય) પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ કુલ 197891 9 પરિવારોને લાભ આપવામાં આવ્યો છે. આ યોજનાને કારણે, આ પરિવારોને લાકડા, કોલસા કે કેરોસીન જેવા પરંપરાગત અને મોંઘા બળતણ અને સગડીને બદલે સ્ટૉવ પર રાંધતા થયા છે. જેનાથી મહિલાઓના સ્વાસ્થ્યની સાથે ભોજનની ગુણવત્તા સુધરી છે અને પરિવારોના પોષણ સ્તરમાં વધારો થયો છે.
અમદાવાદ જિલ્લાનું પુરવઠા તંત્ર મજબૂત વિતરણ માળખા અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જેવી દૂરંદેશી યોજનાઓના સુભગ સમન્વયથી, દરેક નાગરિકની થાળી સુધી સલામત અને પોષણયુક્ત અનાજ પહોંચાડવા માટે કાર્યરત છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ