સુરતમાં 23 વર્ષની મોડલ અંજલિ વરમોરાનો આપઘાત
સુરત, 8 જૂન (હિ.સ.)- સુરત શહેરમાં વધુ એક મોડલના આપઘાતની દુખદ ઘટના સામે આવી છે, જેમાં અઠવા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય અંજલિ વરમોરાએ પોતાના નિવાસે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવે શહેરમાં ચકચાર મચાવી દીધી છે. પ્રાથમિક માહિતી અનુસાર, અંજલિએ પ
Surat


સુરત, 8 જૂન (હિ.સ.)- સુરત શહેરમાં વધુ એક મોડલના આપઘાતની દુખદ ઘટના સામે આવી છે, જેમાં અઠવા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય અંજલિ વરમોરાએ પોતાના નિવાસે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવે શહેરમાં ચકચાર મચાવી દીધી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, અંજલિએ પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી હતી. પોલીસને આશંકા છે કે અંજલિએ માનસિક તણાવના કારણે આ પગલું ભર્યું હોય શકે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી, પ્રાથમિક તપાસ કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.

અંજલિના આપઘાતના કારણોની તપાસ ચાલી રહી છે. હાલ સુધી મૃતદેહ પાસેથી કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી. પોલીસે અંજલિનો મોબાઇલ ફોન સહિત અન્ય વસ્તુઓની પણ તપાસ હાથ ધરી છે. પરિવારજનોને સંપર્કમાં લેવામાં આવ્યા છે અને તેમના નિવેદન પણ લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં સુરતના સારોલી વિસ્તારમાં રહેતી 19 વર્ષીય મોડલ સુખપ્રીત કૌરએ પણ આવી જ રીતે આપઘાત કર્યો હતો. ત્યારબાદ હવે વધુ એક મોડલના આપઘાતની ઘટનાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. આવા બનાવોથી સમજાય છે કે યુવાનોમાં માનસિક તણાવ અને નિરાશા વધી રહી છે.

પોલીસ હવે સમગ્ર મામલાની ગુહ્ય તપાસ ચલાવી રહી છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની સંભાવના છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande