પાટણ, 8 જૂન (હિ.સ.)જંગરાલ ગામના કનુજી ઠાકોર અને ઉંદરા ગામના આકાશજી ઠાકોરએ અગ્નિવીર તરીકે તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફર્યા છે. કનુજી ઠાકોર જંગરાલ ગામના પ્રથમ ફોજી બન્યા છે. તેમણે નચિકેતા સ્કૂલ ઓફ ડિફેન્સમાં શિક્ષક શ્રવણજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી હતી અને પ્રથમ પ્રયાસે જ પસંદગી પામીને બેંગલોર ખાતે તાલીમ પૂર્ણ કરી છે.
કનુજી ઠાકોરના વતન આગમન પર ગામલોકો અને સગાસંબંધીઓએ ગૌરવયાત્રા કાઢી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઠાકોર સમાજ કર્મચારી મંડળ ડીસા અને પાટણના સભ્યો, આધુનિક ખેડૂત કનવરજી ઠાકોર તથા પાલડી નિવાસી વિષ્ણુગીરી મહારાજે ખાસ હાજરી આપી હતી.
ઉંદરા ગામમાં આકાશજી ઠાકોરના આગમન પર ગામજનોએ ભવ્ય સામૈયું યોજી તેમનું સન્માન કર્યું હતું. HUDCOના નવનિયુક્ત સ્વતંત્ર ડિરેક્ટર અને ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલે ખાસ ઉપસ્થિતિ આપી હતી. તેમના સાથે જીતુભાઈ પટેલ, સરસ્વતી તાલુકા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ મોદી, ઉપપ્રમુખ શ્રીરામ જોષી અને કિસાન મોરચા મહામંત્રી સાગર સુથાર સહિત મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામલોકોએ કે.સી. પટેલની HUDCO ડિરેક્ટર તરીકેની નિમણૂકનો પણ હર્ષભેર સ્વાગત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર