સુરત, 5 જૂન (હિ.સ.)-દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને અને વન, પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ અને જળસંપત્તિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલ ખાતે 'એન્વાયરમેન્ટ કોન્કલેવ-2025' યોજાઈ હતી. જેમાં પર્યાવરણ સંરક્ષણ માટે શ્રેષ્ઠ યોગદાન આપનાર, ગ્રીનબેલ્ટ વિકાસ, જળ સંરક્ષણ, કાર્બન ક્રેડિટ પહેલ અને વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન માટે શ્રેષ્ઠ અને વિશેષ કામગીરી કરનાર ઉદ્યોગકારોને 'Carbon Emission Reduction' એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ સામે લડવા સાથે પર્યાવરણની સુરક્ષા અને જાળવણી કરવી એ આધુનિક યુગનો મહત્વનો પ્રશ્ન છે. વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ આપણા જીવન, આરોગ્ય અને ભવિષ્ય પર સીધી અસર કરે છે. વડાપ્રધાનના વિઝન હેઠળ આપણે આ સમસ્યાઓનો ઉકેલ લાવવાના પ્રયત્ન કરી રહ્યાં છીએ.
વધુમાં મંત્રીએ કહ્યું કે, પર્યાવરણ સંરક્ષણની સામાજિક અને નૈતિક જવાબદારી નિભાવવી જરૂરી છે. આ માટે ગત વર્ષે વડાપ્રધાનએ 'એક પેડ મા કે નામ અભિયાન' શરૂ કર્યું હતું. ધરતી માતાને વૃક્ષોથી આચ્છાદિત કરવા માટેની આ પહેલ દેશવાસીઓને વધુને વધુ વૃક્ષારોપણ માટે સૌને પ્રેરણા આપી રહી છે. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથોસાથ પર્યાવરણ સંરક્ષણ, જતન અને સંવર્ધન માટે સઘન અને પ્રમાણિક પ્રયત્નો થઈ રહ્યા છે.
વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, ઉમરગામથી અમદાવાદ સુધીના ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારના એફિલન્ટને 'ડીપ સી' પ્રોજેક્ટથી ઘણો ફાયદો થયો છે. ઔદ્યોગિક વિકાસ માટે વિવિધ ઈન્ડસ્ટ્રીઝના મહત્વના પ્રશ્નો ઝડપભેર ઉકેલવામાં આવી રહ્યા છે એમ જણાવી 'કેચ ધ રેઈન' પ્રોજેક્ટ હેઠળ જનભાગીદારીથી જળસંચય અભિયાનમાં સહભાગી બનીને કર્મભૂમિથી માતૃભૂમિનું ઋણ ચૂકવવા આગળ આવવા આહ્વાન કર્યું હતું. જેને સુરતીઓએ અનુસરીને ગત દિવસોમાં ખૂબ ઓછા સમયગાળામાં 27 લાખ 62 હજારથી વધુ રેઈન વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રકચર બનાવ્યા છે.
જળશક્તિમંત્રીએ કહ્યું કે, આપણા દેશમાં ચાર હજાર BCMથી વધુ વરસાદ પડે છે. અને સમગ્ર દેશમાં સાડા છ હજારથી વધુ નાના મોટા ડેમ છે. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. જેમાં 83 ટકા પાણી ખેતીમાં સિંચાઈ માટે વપરાય છે. અને ફક્ત અઢી ટકા પાણી ઈન્ડસ્ટ્રીઝમાં વપરાય છે. સમગ્ર દેશના 83 ટકા હિસ્સામાં ખેતી થઈ રહી છે.
સી.આર પાટીલે કહ્યું કે, રેન વોટર હાર્વેસ્ટિંગ દ્વારા એક વીઘામાં સાતથી 8 લાખ લીટર વરસાદી પાણી જમીનમાં ઉતરે છે. ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમ રહે છે અને તમામ નેચરલ મિનરલ જમીનમાં ઉતરે છે. ભવિષ્યમાં જળસંકટને પહોંચી વળવા માટે જળસંચય વિના ચાલશે નહીં. ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવા આપણી આવક અને પૂંજીનો કેટલોક ભાગ જળસંચય માટે ઉપયોગ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.
કોન્કલેવમાં પર્યાવરણ સુરક્ષા, પ્રાકૃતિક સંપત્તિઓનું સંરક્ષણ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોએ પર્યાવરણ જાળવણી વિશે સૌને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, GPCBના પ્રાદેશિક અધિકારી જિજ્ઞા ઓઝા, SGCCIના પ્રમુખ નિખિલ મદ્રાસી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ, સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના ચેરમેન ડો. સુનિલ અંબાષ્ટ, પર્યાવરણ, વન અને ક્લાઇમેટ ચેન્જ કેન્દ્રીય મંત્રાલયના વૈજ્ઞાનિક જી. સરથકુમાર, CGWA ના મેમ્બર સેક્રેટરી ટી. બી. એન. સિંઘ, CPCB વડોદરાના રિજનલ ડિરેક્ટર ડોક્ટર અરવિંદકુમાર ઝા, GPCB-ગાંધીનગરના ડે. એન્વાયરમેન્ટ એન્જિનિયર મનાલી ભટ્ટ, એન્વાયરમેન્ટ પોલ્યુશન કંટ્રોલ અને વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન કુણાલ શાહ, ઉદ્યોગપતિઓ, સામાજિક અગ્રણીઓ, ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ, પર્યાવરણવિદો, વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો, વિદ્યાર્થીઓ, સંશોધકો, સ્ટેકહોલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે